
વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. ઉંદર કરડવાથી એક યુવકનું સારવારમાં મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા 40 વર્ષના યુવકને ઉંદર કરડતા તે મોઢા અને પગના ઇજાગ્રસ્ત થયો હતો, જેથી યુવકને એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના આઇસીયુમાં દાખલ કરવો પડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું.
ઉંદર કરડવાથી ગંભીર ઈજાગ્રસ્ત
વડોદરાના સલાટવાડામાં સલાટવાડામાં રહેતા 40 વર્ષીય યુવક સંદીપ મોરેના ઘરે ઉંદર કરડ્યો હતો. ઉંદર કરડતા યુવકના માથા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને ઘણું લોહી વહ્યું હતું. આ ઘટનામાં યુવક બેભાન થતા તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં આ યુવકને ઇમરજન્સી વિભાગના આઇસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. સારવાર માટે દાખલ થયાના બીજા દિવસે ફરજ પરના હાજર તબિબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે.
ઉંદર કરડે તો શું થાય?
આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઉંદર કરડવાથી રેબીઝ અથવા અન્ય ચેપજન્ય બીમારીઓ થવાની શક્યતા રહે છે. આથી આવા બનાવ બને ત્યારે તરત જ તબીબી સારવાર લેવી અત્યંત જરૂરી છે. નાગરિકોએ આવા બનાવ સામે સાવચેત રહેવું જોઈએ અને તાત્કાલિક આરોગ્ય સેન્ટરનો સંપર્ક કરવો જોઈએ.