
વડોદરાઃ રાજ્યમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વડોદરા નેશનલ હાઇવે 48 પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કરજણ ધાવટ ચોકડી પરના બ્રિજ પર ઔરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી ખાનગી બસ સાઇડમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 2નાં મોત અને 10 ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
દોઢ કલાકની જહેમત બાદ રેસ્ક્યુ
બસમાં સવાર 25થી વધુ લોકોનું કરજણ ફાયર વિભાગે દોઢ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું. અકસ્માત બાદ લોકો કડકડતી ઠંડીમાં લોહીલુહાણ હાલતમાં રોડ પર બેઠેલા જોવા મળ્યા હતા. ફાયરના જવાનોએ બસમાં જઈ સ્ટ્રેચરની લપસણી બનાવી બંને મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. આ મામલે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસ પહેલા પાવાગઢથી દર્શન કરી પરત ફરતા યુવાનોને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. દાહોદ જિલ્લામાં આવેલા ઉસરા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે બાઈકને અડફેટે લેતા સવાર 3 યુવક હવામાં ફંગોળાયા હતા. 3 પૈકી એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 2 યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દાહોદ રૂરલ પોલીસે (મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો.



