
વડોદરા : ગુજરાતના ગોધરા અને વડોદરામાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગોધરાના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા પોસ્ટ બદલ પોસ્ટ કરનારને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. જયારે ત્યાં એકત્ર થયેલી એક સમુદાયની ભીડે પોલીસ સ્ટેશનમાં જ હંગામો કર્યો હતો તેમજ તોડફોડ કરી હતી. જેના લીધે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જયારે વડોદરામાં જૂનીગઢીમાં બી ડિવીઝન પોલીસ સ્ટેશન બહાર એક સોશિયલ મીડિયા પોસ્ટના પગલે એક સમુદાયના લોકોએ હંગામો કર્યો હતો.

અલ્પસંખ્યક સમુદાયના લોકોએ ભારે તોડફોડ કરી
ગોધરામાં સોશિયલ મીડિયા પર વાયરલ એક વિડીયો મુદ્દે એક સમુદાયના લોકોએ ભારે તોડફોડ કરી હતી. આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર ગોધરા સીટી બી- ડિવીઝન વિસ્તારમાં એક યુવક વારંવાર ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરતો હતો. તેમજ હાલમાં શરુ થનારા નવરાત્રી પર્વના પગલે પોલીસે આ યુવકને બોલાવીને સમજાવ્યો હતો. આવી કોઈ પણ પોસ્ટ વાયરલ ના કરે જેનાથી તણાવ ઉભો થાય.

ભીડને કાબુમાં કરવા લાઠીચાર્જ કર્યો
જોકે, આ દરમિયાન એક સમુદાયના લોકોને લાગ્યું કે યુવકને ધમકી આપવા માટે બોલાવ્યો છે. જેની બાદ પોલીસ સ્ટેશનની બહાર લોકોની ભીડ એકત્ર થઈ હતી. તેમજ હંગામો કરવા લાગી હતી. પોલીસે ભીડને કાબુમાં કરવા લાઠીચાર્જ કર્યો હતો. તેમજ અશ્રુગેસના ગોળા પણ છોડ્યા હતા. હાલમાં આ વિસ્તારમાં શાંતિ છે.
ભારે નારેબાજી કરીને પથ્થરમારો કર્યો
જયારે બીજી તરફ વડોદરામાં જૂનીગઢીમાં બી ડિવીઝન પોલીસ સ્ટેશન બે સમુદાયના લોકો વચ્ચે તણાવ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં એક સોશિયલ મીડિયા પોસ્ટના પગલે એક સમુદાયના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમજ રોડ પર ભારે નારેબાજી કરીને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ઉચ્ચ
અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જેમાં વડોદરાના એડીશનલ પોલીસ કમિશ્નર ડો. લીના પાટીલ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને લોકો સાથે વાતચીત પણ કરી હતી.
રોડ ખાલી કરાવવા માટે પોલીસે મુસ્લિમ ધર્મગુરુની મદદ લીધી
જયારે ભીડ એટલી બધી હતી કે રોડ ખાલી કરાવવા માટે પોલીસે મુસ્લિમ ધર્મગુરુની મદદ લીધી હતી. તેમજ પોલીસે આરોપી વિરુદ્ધ એકશન લેવાની બાંહેધરી આપી હતી. પોલીસે લોકોને કોઈ પણ અફવાથી દુર રહેવાની અપીલ કરી હતી. હાલ શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.