વડોદરામાં પૂર સામે લડવા 200 તરવૈયાઓની ‘ફોજ’ તૈયાર, VMCનું આગોતરું આયોજન

વડોદરાઃ ગત ચોમાસામાં થયેલી અતિવૃષ્ટિ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોઇ જ લાપરવાહી દાખવવા માગતું નથી. આ વર્ષે જો કોઇ પૂર જેવી આફત સર્જાય કે ડૂબાણની સ્થિતિ ઉભી થાય તો 200 તરવૈયાની ફોજ તૈયાર રહેશે. આ માટે મહાનગરપાલિકાએ આ માટે મહેસાણાની એજન્સી સાથે કરાર કર્યો હતો.
તરવૈયાઓને ભાડે લેવાનો કરાર કર્યો
વડોદરામાં પૂર અને ભારે વરસાદની બાબત નવી નથી. દર ચોમાસામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. મહાનગરના ઇતિહાસમાં પ્રથમ વખત પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા વડોદરાની ફાયર અને ઇમરજન્સી વિભાગે તરવૈયાઓને ભાડે લેવાનો કરાર કર્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંભવિત આફત સામે લડવા કુલ રૂપિયા 95.58 લાખનો ખર્ચ કરશે.
2024ના ઓગસ્ટ માસમાં મહાનગરના ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા અને ઘણા દિવસો લોકો ફસાયા હતા. શહેરીકરણના આયોજન માટે તે સમયે ઘણી ટીકા થઈ હતી અને મહાપાલિકાના વહીવટ સામે રોષ ઉભો થયો હતો. જેના લીધે પૂરમાં બચવા કે તેની સામેના બચાવકાર્ય અંગે સરકારી સમિતિની ભલામણોના આધારે આ વર્ષે આવા પગલાં લેવામાં આવ્યા હતા.
કેવી રીતે ચુકવાશે પેમેન્ટ
વીએમસીએ કરાર આધારિત કામદારોને એજન્સી મારફતે ભરતી કરશે અને તેમને રોજમદારની જેમ દરરોજ રકમ ચૂકવશે. કેટલાક ડ્રાઇવર્સને આવા કર્મચારી તરીકે ફાયર વિભાગમાં સામેલ કરવામાં આવ્યા છે. તરવૈયાઓને પણ એજ રીતે લેવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે, એજન્સી સાથે તાલીમ પામેલા તરવૈયાઓ જોઇશે અને તેમનું ફિટનેશ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ તેવી શરત મુકવામાં આવી છે.ઇમરજન્સી વખતે નાના નાના ગ્રૂપમાં વિવિધ ડૂબમાં જતાં વિસ્તારોમાં મહાપાલિકાના કર્મચારીઓ સાથે તેમણે પહોંચવાનું રહેશે. તરવૈયાઓ જ્યારે વડોદરા આવી જશે ત્યારપછી તેમની કામગીરી અંગે પ્રક્રિયા હાથ ધરાશે.
આ પણ વાંચો…વડોદરામાં વરસાદની શરૂઆત સાથે જ જમીન ધસી પડી, વાહનો ખૂપ્યા