અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો પરેશાન

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામને લઈ વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. નેશનલ હાઇવે પર વાહનોના થપ્પા લાગતાં કામ અર્થે નીકળેલા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. ઉપરાંત આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકને કારણે અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ટ્રાફિકમાં સવારે 5 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી.
મળતી વિગત પ્રમાણે, વડોદરા શહેર નજીકથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર જાંબુવાબ્રિજના રોડ પર મોટા-મોટા ખાડા પડી જતાં ગુરુવારે વહેલી સવારથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જાંબુવાબ્રિજ, પોરબ્રિજ અને બામણગામબ્રિજ પર હેવી ટ્રાફિકજામ થતાં વાહનચાલકો પરેશાન થયા હતાં. હાઇવે પરથી પસાર થતી પાંચ જેટલી એમ્બ્યુલન્સ પણ એક-એક કલાક સુધી ટ્રાફિકજામમાં ફસાઈ હતી. જેને લઈ દર્દીના જીવ જોખમમાં મુકાયા હતા.
આ પણ વાંચો: મુંબઈમાં વાહનોની સંખ્યા ૪૮ લાખની પાર, પ્રદૂષણ અને ટ્રાફિકજામનું જોખમ વધશે…
સ્થાનિકોના કહેવા પ્રમાણે, ટ્રાફિકજામની સમસ્યા છેલ્લાં 5 વર્ષથી છે. ચોમાસાના સમયમાં બ્રિજ ઉપર ખાડા પડી જતાં આ સમસ્યા સર્જાય છે. ઘણી વખત તો પોર સુધી ટ્રાફિકજામ થઈ જાય છે. આ બ્રિજની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવે તેવી અમારી માગણી છે.