અનોખો સામાજિક ઉદ્દયમ: દૂધના દાનથી બાળ પોષણને મળશે ‘આશીર્વાદ પાત્ર’નું બળ

ખેડા જિલ્લામાં તા. ૧૪ નવેમ્બરના રોજ શરૂ થયેલ “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન અમૂલ ડેરી અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા દૂધના દાનથી બાળ પોષણનો નવતર ઉદ્દયમ અપનાવવામાં આવ્યો છે. ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલને જિલ્લાભરની દૂધ મંડળીઓ અને નાગરિકો તરફથી અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે.
કોણ કરે છે દૂધનું દાન
“ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન અંતર્ગત જ્યારે ગામના પશુપાલક ભાઈ-બહેન દૂધ ડેરી પર જમા કરવા આવે છે ત્યારે ત્યાં રાખેલ ‘આશીર્વાદ પાત્ર’ માં તેઓ પોતાની ઈચ્છા શક્તિ મુજબ ૧૦, ૩૦, ૫૦ મિલી કે વધુ પ્રમાણમાં દૂધનું દાન કરે છે.
આ દૂધ સીધું આંગણવાડીના કુપોષિત બાળકોને મળી રહે તે માટે આંગણવાડી બહેનો દ્વારા તેનું આયોજનબદ્ધ વિતરણ કરવામાં આવે છે. ગામમાં વધુમાં વધુ લોકો જન્મતિથિ, લગ્નતિથિ અથવા કોઈ ઉત્સવ ઉજવણી સમયે પણ આવા કુપોષિત બાળકોને માટે ગોળ, કઠોળ, શિંગ, ખજૂર વગેરે આંગણવાડી પર આપી આવા ઉમદા કાર્યમાં જોડાઈ શકે છે.

જિલ્લા કલેકટરએ તેમના વિચારને રજૂ કરતા જણાવ્યું કે, કુપોષણ એ કેન્સર કરતા પણ ખૂબ મુશ્કેલ સમસ્યા છે. કુપોષણ દૂર કરવું એ સૌ ગામના આગેવાનોની, તમામ જનસમુદાયની તથા ગામના લોકોની નૈતિક ફરજ અને જવાબદારી છે. જેના એક પ્રયાસ રૂપે ગામની દૂધ મંડળીઓ સહકારની ભાવનાથી દૂધનો ખૂબ નાનો ભાગ બાળકો માટે દૈનિક નિયમિત રીતે આપે તો આવનારા સમયમાં ગામમાંથી કુપોષણ નિવારી શકાય.
આંગણવાડી બહેનો જ્યારે આપના દ્વારે આવે તો ત્યારે તેને માન આપી અભિયાનમાં સહકાર આપવા જિલ્લા કલેક્ટરે તમામ ઉપસ્થિતને વિનંતી કરી. વધુમાં આ અભિયાનમાં સરકારી કર્મચારીઓ પણ જોડાય અને તેઓ પણ આંગણવાડીના બાળકો માટે વારે તહેવારે જો દાન કરે તો સમાજમાં તેની ખૂબ જ હકારાત્મક અસર થશે. આ અભિયાનને સહકારની સાથે સાથે તમામ નાગરિકોનો પ્રેમ મળે તે પણ ખૂબ જ જરૂરી છે.

આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ અને કઠલાલની દૂધ મંડળીઓને આહવાન કરવામાં આવ્યું છે. અને આજ દિન સુધીમાં કુલ ૪૭૭૧.૯૫ લિટર દૂધનું દાન એકત્રિત કરવામાં આવ્યું છે અને દરરોજ ૩૦૦૦થી વધુ બાળકોને આનો લાભ મળી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને અમૂલ ડેરીએ આશા વ્યક્ત કરી છે કે આવનાર સમયમાં આ પહેલ જિલ્લાના તમામ તાલુકાઓમાં સફળતાપૂર્વક અમલીકરણ પામશે અને ખેડા જિલ્લો કુપોષણમુક્ત બનવાની દિશામાં એક મજબૂત કદમ ઉઠાવશે.



