સિગારેટ જેવી નજીવી બાબતે નડિયાદમાં બે જુથ સામસામે આવ્યા; 20 લોકો સામે ફરિયાદ…

અમદાવાદઃ ગુજરાતમાં વસ્ત્રાલની ઘટનાની ચર્ચા હજુ યથાવત છે ત્યાં નડિયાદના સલુણ ગામે બે ટોળા સામસામે આવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સિગારેટ લેવા જેવી નજીવી બાબતે ગામના બે સમાજના ટોળા સામસામે આવી જતા મામલો વણસ્યો હતો. આ ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે બે લોકોને વધુ ઈજા પહોચતાં તેમને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. આ સમગ્ર મામલે 20 લોકો સામે નામજોગ અને 30 જણના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી.
Also read : અંજારમાં તળાવમાં 5 બાળકો ડૂબ્યા: ફાયર વિભાગની ટીમે 4 મૃતદેહો બહાર કાઢ્યાં
અગાઉના ઝઘડાનું વેર રાખી હુમલો
આ ઘટનામાં પથ્થરમારો થતાં નડિયાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સલુણ ગામના વિશાલ મકવાણાએ નોધાવેલી ફરિયાદમાં સાંજના સમયે સલુણ બસ સ્ટેન્ડ પાસે આવેલા સંજય તળપદાની દુકાને પડીકી લેવા ગયો હતો. જેમાં અગાઉના ઝઘડાનું વેર રાખી સંજયે ગાળો બોલી હતી અને જ્ઞાતિસૂચક શબ્દો બોલી 15 જેટલા માણસોનો ટોળું ધસી આવ્યું હતું.
નડિયાદ ગ્રામ્ય પોલીસમાં નોંધાઈ ફરિયાદ
આ ટોળાએ લાકડાના દંડા, ઈંટો અને લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે વિશાલ અને તેના મિત્રો સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત છૂટો પથ્થરમારો પણ કર્યો હતો. આ બનાવમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આથી આ બનાવ મામલે વિશાલ મકવાણાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
3 લોકો ઈજાગ્રસ્ત
જ્યારે અન્ય સામાપક્ષે કરેલી ફરિયાદમાં પ્રવીણભાઈ તળપદાએ જણાવ્યું હતું કે, તેમના ફોઈના દીકરાની સંજયની દુકાન બસ સ્ટેન્ડ પાસે આવેલી છે. કારમાં આવેલા લોકોએ સંજય સાથે ગાળાગાળી કરી હતી. બાદમાં આ કારમાં આવેલા લોકોએ ટોળુ લઈ આવી દુકાનદાર સંજય અને તેમના સંબધી સતિષભાઈ તેમજ વિનોદભાઈને માર માર્યા હતા. છૂટા પથ્થરો પણ ફેંકી ઇજા કરી હતી. આ બનાવમા 3 લોકો ઈજા થઈ હતી.
Also read : વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ એક્શનમાં; 100 કલાકમાં અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ
આ મામલે પ્રવિણભાઇ તળપદાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ઉપરોક્ત આઠ વ્યક્તિઓના નામ જોગ અને બીજા 15થી 20 માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં નડિયાદ રૂરલ પોલીસે સલુણ ગામના ચાર આરોપી ભાવિનસિંહ મહિડા, વિશાલ મકવાણા, સહદેવસિહ મહિડા અને ધ્રુવીલ પ્રજાપતિની નડિયાદ પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.