દાહોદમાં વીજળી પડતા પિતા-પુત્રનું મોત, અમરેલીના વાતાવરણમાં પણ આવ્યો પલટો

અમરેલી/ગોધરાઃ રાજ્યના કેટલાક વિસ્તારમાં શનિવારે બપોર પછી પલટો આવ્યો હતો. અમરેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળી પડવાથી બે લોકોનાં મોત થયા હતા.
મળતી વિગત પ્રમાણે, બપોર બાદ દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. આ દરમિયાન મુવાલિયા ગામે વીજળી પડતાં બાપ-દીકરાના કરૂણ મોત થયા હતા. 30 વર્ષીય સંજયભાઈ અને તેમનો 7 વર્ષનો પુત્ર આયુષ ઘરની બહાર બેઠા હતા ત્યારે વીજળી તેમના પર પડી હતી. બાપ-દીકરાના મોતથી પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. ઉપરાંત શહેરના દેસાઈવાડામાં વૃક્ષ ધરાશાયી થયું હતું, તેમજ લિટલ ફ્લાવર સ્કૂલની દીવાલ ધરાશાયી થઈ હતી. સિંગવડ ફોરેસ્ટ ઓફિસના ગેટ પાસે વીજપોલ તથા ઝાડ પડ્યા હતા. પવન સાથે આવેલા વરસાદથી અનેક જગ્યાએ નુકસાની થઈ હતી.
આ પણ વાંચો: ઓડિશામાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો! વીજળી પડતા 10 લોકોના મોત, ઓરેન્જ એલર્ટ જાહેર
અમરેલીના વાતાવરણમાં પણ પલટો
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. બગસરા, બાબરા, ખાંભા, વડિયા, કુંકાવાવ અને ધારી સહિત ગામડાંઓમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ધારીના ચલાલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતા. ખાંભા-ગીરના લાસા, ધાવડીયા, ભાણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી બાદ જોરદાર વરસાદ થયો હતો. લાસા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા હતા. જ્યારે અમરેલીના બાબાપુર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લામાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન પણ રાજ્યનાં અનેક ભાગોમાં હાલ વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી: આ જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ અને સુરત તેમજ અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.