આણંદ હવે “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” તરીકે ઓળખાશે: કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય!

ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે આણંદ મહાનગરપાલિકાના સ્થાને “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” નામાભિધાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે.
આણંદ મનપાના સ્થાને કરમસદ-આણંદ મહાનગરપાલિકા
ઋષિકેશ પટેલે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવા તથા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના પૈતૃક ગામ કરમસદની આગવી ઓળખ જાળવી રાખવા ધારાસભ્યો, સંસદ સભ્યો, વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિકો તરફથી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરમસદના ઐતિહાસિક વારસાને ધ્યાને લઈ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદ સાથે જોડાયેલ હોય આણંદ મહાનગરપાલિકાના સ્થાને “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” નામાભિધાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: 9 સિટી ઈજનેરને નવી નવ મહાનગરપાલિકાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો…
આ વર્ષે જ ત્રણ નગરપાલિકાને સમાવી લેવાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫ના જાહેરનામા થી આણંદ નગરપાલિકા, કરમસદ નગરપાલિકા અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકા તથા નજીકના અન્ય ગામોનો સમાવેશ કરીને ‘આણંદ મહાનગરપાલિકા’માં રૂપાંતરીત કરવામાં આવી હતી. રાજયમાં આ વર્ષે કુલ-૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મેહસાણા, સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ, નડિયાદ અને પોરબંદર-છાયા મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે.