અમદાવાદ

કોમનવેલ્થ ગેમ્સના સમાપન બાદ અમદાવાદના એથ્લેટ વિલેજનું શું થશે?

અમદાવાદ: શહેરમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. જે માટે તાજેતરમાં ગ્લાસગોમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓલિમ્પિક 2036ની પણ યજમાની અમદાવાદ કરી શકે છે. જેનાથી ગુજરાતના વિકાસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. આ બે વર્લ્ડ-ક્લાસ ઇવેન્ટના આયોજનથી અમદાવાદની કાયાપલટ થશે, જ્યાં અત્યાધુનિક સ્ટેડિયમો, વીઆઈપી રોડ, હાઇટેક બ્રિજ અને લક્ઝુરિયસ સ્પોર્ટ્સ વિલેજનું નિર્માણ થશે. આ વિકાસ કાર્યોથી માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ રિયલ એસ્ટેટ, પ્રવાસન અને રોજગારના ક્ષેત્રે જંગી ઉછાળો જોવા મળશે, જેનાથી ગુજરાત દેશમાં સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત થશે.

વિલેજ માટે કેટલો થશે ખર્ચ

સૂત્રો મુજબ શહેરની CWG 2030 માટેની તૈયારીઓ અને 2036 ઓલિમ્પિક્સ માટેનું દબાણ એક નવા રહેણાંક વિસ્તારની જરૂરિયાત પર ભાર મૂકે છે. આ પરિવર્તનના કેન્દ્રમાં ગાંધીનગરમાં ગુજરાત પોલીસ અકાદમી નજીક પ્રસ્તાવિત એક મોટું ‘ગેમ્સ વિલેજ’ છે. એકવાર ગેમ્સ સમાપ્ત થયા પછી, આ સંકુલને રહેણાંક એપાર્ટમેન્ટ્સમાં રૂપાંતરિત કરવામાં આવશે.

છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ગાંધીનગરમાં યોજાયેલી અનેક ઉચ્ચ-સ્તરીય સંકલન સમિતિની બેઠકોમાં ચકાસાયેલ એક તાજેતરના સમીક્ષા દસ્તાવેજમાં, આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹3,600 કરોડથી ₹5,160 કરોડની વચ્ચે મૂકવામાં આવ્યો છે. આ સ્થળ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટની ઉત્તરે અને હાલના રહેણાંક વિસ્તારોની નજીક આવેલું છે.

વિલેજ પ્લાઝા ઝોન ક્યાં બનશે

શહેરી વિકાસ વિભાગના એક સૂત્રોએ જણાવ્યું હતું કે, વિલેજ પ્લાઝા ઝોન પ્રસ્તાવિત મુખ્ય સ્ટેડિયમથી 5 કિમીની અંદર હશે. રિવ્યુ મીટિંગ – અમદાવાદ 2036 તરફની તૈયારી’ શીર્ષકવાળા દસ્તાવેજ મુજબ, ગેમ્સ વિલેજમાં વિવિધ માળખાંના કુલ 2,191 એપાર્ટમેન્ટ્સ હશે, જે પ્રસ્તાવિત મુખ્ય સ્થળ – નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી 5 કિમીની અંદર વ્યૂહાત્મક રીતે સ્થિત હશે. રહેણાંક એકમોમાં 1,534 ત્રણ-બેડરૂમ એપાર્ટમેન્ટ્સ, 400 ચાર-બેડરૂમ એપાર્ટમેન્ટ્સ અને 257 પાંચ-બેડરૂમ એપાર્ટમેન્ટ્સનો સમાવેશ થશે. કુલ બાંધકામ વિસ્તાર 3,84,555 ચોરસ મીટર અંદાજવામાં આવ્યો છે.

કોમનવેલ્થ ગેમ્સ બાદ એથ્લેટ વિલેજનું થશે

સૂત્રો મુજબ, આવાસ ઉપરાંત, ગેમ્સ વિલેજમાં એથ્લીટ આવાસ, ટ્રાન્સપોર્ટ મોલ અને ફાયર સ્ટેશન જેવા ઓપરેશનલ ઝોનનો પણ સમાવેશ થશે. ગેમ્સ પછી, આ સુવિધાઓને નાગરિક ઉપયોગ માટે અનુકૂળ બનાવી શકાય છે. આ વ્યૂહરચના ઓલિમ્પિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગેમ્સ પછી કેવી રીતે ઉપયોગ થાય છે તેમાં ફેરફાર દર્શાવે છે.

ઓછો ઉપયોગ થતો સંકુલ છોડી જવાને બદલે ગેમ્સ વિલેજને શહેરના શહેરી માળખામાં એકીકૃત કરવાનો છે. આ એપાર્ટમેન્ટ્સને ખુલ્લા બજારમાં વેચીને, આયોજકોનો ઉદ્દેશ્ય ગેમ્સ માટે જરૂરી મૂડી રોકાણનો અમુક ભાગ પાછો મેળવવાનો છે, જ્યારે સાથે સાથે કનેક્ટિંગ શહેરોમાં આવાસની વધતી માંગને પણ પૂરી કરવાનો છે.

આ પણ વાંચો…કોમનવેલ્થ ગેમ્સના કારણે અમદાવાદમાં જંગી રોજગારી ઉભી થશે, બીજા શું થશે ફાયદા ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button