
અમદાવાદઃ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ વચ્ચે આજે પશ્ચિમ વિસ્તારમાં કેટલીક જગ્યાએ પાણી કાપ રહેશે. શહેરના ચાંદખેડા, રાણીપ, પાલડી, થલતેજ અને સરખેજ સહિતના પશ્ચિમ વિસ્તારમાં આવતા તમામ વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોડક્શન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરું પાડતા એએમસીના જાસપુરના 400 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટને વીજ પુરવઠો પુરી પાડતી જેટકો કંપની દ્વારા 66 કેવી સબ સ્ટેશનમાં પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ઇન્ટેનન્સ માટે આજે સોમવારે સવારથી વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. જેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાંજ સુધી બંધ રાખવામાં આવ્યો છે. જેના કારણે 10 જૂન 2025 મંગળવારે પશ્ચિમ વિસ્તારમાં ઉપલ્બધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. 11 જૂનના રોજ તમામ વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી આપવામાં આવશે.
હાલ રાજ્યના જળાશયોના જળસ્તરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ 44.89 ટકા જળસ્તર છે. હાલ બે જળાશયોમાં 90 ટકાથી વધુ, 1મા 80 ટકાથી 90 ટકા, 3મા 70 ટકાથી 80 ટકા જેટલું જળસ્તર છે. 200 જળાશયોમાં જળસ્તર હવે 70 ટકાથી ઓછું છે. હાલમાં મહીસાગરના વણાકબોરીમાં સૌથી વધુ 93.39 ટકા, મોરબીના મચ્છુ-2માં 92.99 ટકા, સુરેન્દ્રનગરના ધોળી ધજામાં 92.84 ટકા સાથે સૌથી વધુ જળસ્તર છે. આ સિવાય 70 ટકાથી વધુ જળસ્તર હોય તેમાં કચ્છના કાળાઘોઘા, રાજકોટના ભાદર-2, આજી-2, છોટા ઉદેપુરના સુખીનો સમાવેશ થાય છે.
હાલ કચ્છના 20 જળાશયોમાં સૌથી ઓછું 20.78 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.47 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.56 ટકા જેટલું જળસ્તર છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ 54.07 ટકા જળસ્તર નોંધાયું છે. જોકે, જળસ્તરમાં ઘટાડો છતાં કોઈ પ્રકારનું જળસંકટ નહીં સર્જાય તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.