અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ વિમાનમાં બેઠા પછી રૂપાણીએ પત્ની અંજલિને ફોન કરીને શું કહ્યું હતું?

અમદાવાદઃ શહેર માટે ગુરુવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. મેઘાણીનગર વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી પ્લેનમાં મુસાફરી કરી રહેલા 242 પૈકી 241નાં મોત થયા હતા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. તેમનો પુત્ર ઋષભ આવતીકાલે આવશે તે બાદ તેમના અંતિમ સંસ્કાર થશે.
મળતી વિગત પ્રમાણે, વિજય રૂપાણીએ પત્ની અંજલિબેનને અંતિમ કોલ કર્યો હતો. જેમાં વિજય રૂપાણીના અંતિમ શબ્દો હતા- અંજુ, ફ્લાઈટમાં બેસી ગયો છું. ફલાઈટ હમણાં ઊપડે જ છે, કાલે આવું છું. શુક્રવારે સવારે અંજલિ રૂપાણી આવતાં જ અમદાવાદ એરપોર્ટ ગમગીની છવાઈ ગઈ હતી. તેમણે કહ્યું, મને એકવાર વિજયનું મોઢું બતાવો. આટલું બોલતાં જ તમામની આંખો ભીની થઈ ગઈ હતી.
વિજય રૂપાણીની સુરક્ષા માટે ફાળવેલા કમાન્ડો સામે જોઈ અંજલિ રૂપાણીએ કહ્યું, તમે તો સાહેબનું કાયમી ખૂબ જ ધ્યાન રાખતા હતા, કાલે કેમ સાહેબનું ધ્યાન ન રાખ્યું. આટલું સાંભળતાંની સાથે જ કમાન્ડો પણ ભાવુક થઈને રડવા લાગ્યા હતા.

આપણ વાંચો: પીએમ મોદીએ વિજય રૂપાણીના પરિવારજનોને સાંત્વના પાઠવી, આ રીતે કર્યાં યાદ
સતત 20 મિનિટ સુધી અંજલિબેનના રુદનથી ઉપસ્થિત તમામની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ત્યાર બાદ અંજલિ રૂપાણી તેમના ગાંધીનગર સ્થિત બંગલે રવાના થયાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પત્ની અને પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. પીએમ મોદીને જોઈ અંજલિ રૂપાણી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા. પીએમ મોદી સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી. વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે. કંઈ કેટલાય પડકારજનક સમયમાં અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. સરળ અને સાલસ સ્વભાવના વિજયભાઈ ખૂબ મહેનતુ હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા.
આપણ વાંચો: ગુજરાતના વિકાસના શિલ્પી વિજય રૂપાણીના કાર્યકાળમાં આ વિકાસકાર્યો થયેલા, વાંચો અહેવાલ
એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
તેઓને સોંપાયેલ દરેક ભૂમિકામાં, તે પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોય કે રાજ્યસભાના સાંસદ તરીકેની હોય, પ્રદેશ ભાજપના પ્રમુખની હોય કે પછી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને મુખ્યમંત્રી તરીકેની હોય, તેઓએ દરેક વખતે એક અનોખો ચીલો ચાતર્યો હતો.
તેમની સાથે થયેલી મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ રહેશેઃ મોદી
વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મારે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવાનું થયું હતું. તેઓએ ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા ઘણા પગલાં હાથ ધર્યાં હતા જેમાં ‘ઈઝ ઑફ લિવિંગ’ એ નોંધપાત્ર છે. તેઓની સાથે થયેલ મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના… ૐ શાંતિ…!!