કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah સોમવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, રાજકીય બેઠકની પણ શક્યતા

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ(Amit Shah)રાજ્યમાં ભાજપ સંગઠનની પુન: રચનાની પ્રક્રિયા વચ્ચે ઉતરાયણની ઉજવણી કરવા માટે ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે 13 જાન્યુઆરી સાંજે અમદાવાદ ખાતે આવશે. 14 જાન્યુઆરીના રોજ ગાંધીનગર લોકસભા વિસ્તાર થલતેજ, ન્યુ રાણીપ અને સાબરમતી ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે ઉતરાયણના તહેવારની ઉજવણી કરશે. તેમજ ઘાટલોડિયાના નવા પોલીસ સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.
આ પણ વાંચો: કાશ્મીરનું નામ બદલવાની તૈયારીમાં સરકાર, અમિત શાહે જણાવ્યું નવું નામ
નવા અધ્યક્ષની પસંદગી અંગે ચર્ચાઓ
કેન્દ્રીય મંત્રીનો ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. જેમાં હાલ ભાજપ સંગઠનની રચના માટે રાજકીય બેઠકો યોજાઇ તેવી પણ શક્યતા છે. જેમાં હાલ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા અંગે બેઠક યોજાઇ શકે છે. ગુજરાત ભાજપના હાલના અધ્યક્ષ સી.આર. પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારથી નવા અધ્યક્ષની પસંદગી અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ તેની જાહેરાત ઉત્તરાયણ બાદ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
આ પણ વાંચો: ‘…તો હું ચૂંટણી નહીં લડું.’ અરવિંદ કેજરીવાલે ભાજપ અને અમિત શાહને પડકાર ફેંક્યો
આ ઉપરાંત હાલ ગુજરાતમાં ભાજપ સંગઠનમાં પણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જેમાં વોર્ડ પ્રમુખોથી લઇને જિલ્લા અને મહાનગરોમાં પણ પ્રમુખ બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે 33 જીલ્લા અને 8 મહાનગરોમાં નવા પ્રમુખની નિમણુક બાદ પ્રદેશ સંગઠન માળખુ રચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે
આ ઉપરાંત પ્રમુખોની વરણી માટે નિયમો ગુજરાત ભાજપ દ્વારા બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી હતી. હવે મહાનગર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. આ મામલે 50 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ માટે ભાજપે કેટલાક ધારાધોરણ નક્કી કર્યા છે. ઈચ્છુક દાવેદાર ફોર્મ ભરે તે બાદ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તેના બાદ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે.