અમદાવાદ પ્લેન ક્રેશ: લંડનથી ભારત શિફ્ટ થવા આવેલી નર્સ રંજીતાનું કરુણ મૃત્યુ

તિરુવલ્લાઃ લંડનમાં નર્સની નોકરી છોડીને ભારત શિફ્ટ થવાની હતી, નવું ઘર પણ તૈયાર હતું, અમદાવાદ વિમાન દુર્ઘટનાએ તેની ખુશીA છીનવી લીધી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર એકને બાદ કરતા બધા મુસાફરોના મૃત્યુ થયા છે. આ કમનસીબ મુસાફરોમાં કેરળના પઠાણમથિટ્ટા જિલ્લાના તિરુવલ્લાની રહેવાસી રંજીતા પણ સામેલ હતી. તે યુકેમાં નર્સ તરીકે કામ કરતી હતી અને તાજેતરમાં જ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પર સહી કરવા માટે ભારત આવી હતી. તે યુકે પરત ફરી રહી હતી, પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ લખાયેલું હતું. રંજીતાના મૃત્યુથી તેનો પરિવાર અને ગામજનો આઘાતમાં છે.
રંજીતાએ 2014માં ઓમાનના સલાલાહમાં નર્સ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે થોડા વર્ષો સુધી તેના પરિવાર સાથે ત્યાં રહી હતી. બાદમાં જ્યારે તેને યુકેમાં નોકરી મળી ત્યારે તેણે સરકારી સેવામાંથી લાંબી રજા લઈને વિદેશમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. ગયા વર્ષે, તેનો પરિવાર ઓમાન છોડીને તિરુવલ્લા સ્થાયી થયો હતો, જેથી બાળકો અહીં અભ્યાસ કરી શકે અને પરિવાર સાથે રહી શકે.
રંજીતા યુકેમાં કામચલાઉ ધોરણે કામ કરતી હતી. તે ભારતમાં ફરી સરકારી સેવામાં જોડાવા માંગતી હતી. તે તેના પરિવાર સાથે ભારતમાં સ્થાયી થવા માંગતી હતી. તેથી તે નવું ઘર પણ બનાવી રહી હતી. ઘરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું હતું અને પરિવાર ટૂંક સમયમાં તેમાં રહેવાની તૈયારી કરી રહ્યો હતો.
અકસ્માતમાં જીવ ગુમાવનાર રંજીતા પોતાની પાછળ માતા અને બે બાળકોને છોડીને ગઈ છે. તેનો દીકરો ધોરણ 10માં અભ્યાસ કરે છે જ્યારે દીકરી ધોરણ 7માં અભ્યાસ કરે છે. તે હંમેશા પોતાના બાળકોના શિક્ષણ અને ભવિષ્ય વિશે ચિંતિત રહેતી હતી. રંજીતાની ઈચ્છા હતી કે તે પોતાના બાળકોને સારું શિક્ષણ આપે અને તેમની સાથે વધુ સમય વિતાવે.
આપણ વાંચો – પીએમ મોદીએ વિજય રૂપાણીના પરિવારજનોને સાંત્વના પાઠવી, આ રીતે કર્યાં યાદ
પરિવારના નજીકના લોકોના જણાવ્યા મુજબ રંજીતા યુકેમાં પોતાની નોકરી છોડીને ફરીથી સરકારી સેવામાં જોડાવાની તૈયારી કરી રહી હતી. એટલા માટે તે થોડા દિવસ માટે ભારત આવી હતી. પરંતુ ભાગ્યમાં કંઈક જુદું જ લખાયેલું હતું. રંજીતાના મૃત્યુથી તેના પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે. તિરુવલ્લા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે