અમદાવાદ સરસપુરમાં ભગવાનના ભવ્ય મામેરાના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા….

અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દર વર્ષે અષાઢી બીજના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્યો રથયાત્રા નીકળતી હોય છે. આ દિવસે ભગવાન મંદિર છોડી ભક્તોને મળવા બહાર નગરચર્યાએ નીકળે છે. આ દિવસ ભક્તો માટે વધુ ખાસ હોય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના 15 દિવસ પહેલા જળયાત્રાનું આયોજન થાય છે. આ દિવસ બાદથી ભગવાન પોતાના મોસાળમાં રહે છે. રવિવારના રોજ, સરસપુર મોસાળ મંદિર ખાતે ભગવાન જગન્નાથને વાસણાના મનીષભાઈ ત્રિવેદીના યજમાન પરિવાર દ્વારા ભાવભેર મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું. આ અલૌકિક મામેરાના દર્શન માટે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો સરસપુર મંદિર ઉમટી પડ્યા હતા. સરસપુર મંદિરથી લઈને શારદાબેન ચાર રસ્તા સુધી ભક્તોની લાંબી લાઈન લાગી હતી. આ દરમિયાન ભજન તથા ‘જય રણછોડ’ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ભગવાન જગન્નાથજી માટે ખાસ ફૂલોની ડિઝાઇનના સુંદર ગુલાબી અને નેવી બ્લુ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોના-ચાંદીના અલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. અવનવી ડિઝાઇન સાથેના આ વાઘા અને દાગીના દર્શન માટે મૂકવામાં આવ્યા છે, જેને નિહાળવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મંદિરની બહાર પણ લોકો ભગવાનના ભજન ગાતા ગાતા દર્શનનો લહાવો લઈ રહ્યા હતા, જે ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ દર્શાવતો હતો.
યજમાન પરિવારે જણાવ્યું હતું કે, આવતીકાલે 23 જૂન, સોમવારના રોજ સવારે 7:30 વાગ્યાની આસપાસ આ મામેરું વાસણા અરિહંત સોસાયટી ખાતે લાવવામાં આવશે. ત્યાંથી સમગ્ર વાસણા વિસ્તારમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં 5000થી વધુ લોકો જોડાશે તેવી શક્યતા છે. આ શોભાયાત્રા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આગામી રથયાત્રાના ઉત્સાહને વધુ વેગ આપશે. વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીમાં રહેતા મનીષભાઈ ત્રિવેદી આ વર્ષે ભગવાનના મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમણે અત્યંત ભાવ અને શ્રદ્ધાથી ભગવાન માટે આ ભવ્ય મામેરું તૈયાર કર્યું છે. યજમાન પરિવારે સરસપુર મંદિર ખાતે આ મામેરું અર્પણ કર્યું હતું.
આ પણ વાંચો…અમદાવાદ રથયાત્રાઃ 75થી વધુ ડ્રોનથી મોનિટરીંગ થશે, AIનો ઉપયોગ કરાશે