અમદાવાદ

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત રીતે જ નીકળશે, 101 ટ્રક વિશેષ શણગારની સાથે ભાગ લેશે

અમદાવાદ: શહેરમાં 27 જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રાની શહેરીજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા માત્ર રથ અને પ્રસાદની ટ્રક સાથે નીકળે તેવી શક્યતા હોવાની વાત વચ્ચે મંદિર વહીવટી તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળશે. સાદગી પૂર્ણ રીતે રથયાત્રા નીકળે તેવી માત્ર વાતો હતી પરંતુ દર વર્ષની જેમ અખાડા, ભજન મંડળી અને શણગારેલી ટ્રકો વગેરે સાથે રથયાત્રા નીકળવાની છે. રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની સાથે રથયાત્રાની તૈયારીઓને લઈને બેઠક કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળે છે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની યાત્રા સાદગીપૂર્ણ રીતે થવાની વાત હતી જે કોઈ વાતમાં તથ્ય નથી. રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જેમાં પોલીસ બંદોબસ્ત અને રથયાત્રાના આયોજન અંગે બેઠક કરી છે. મંદિર પ્રશાસન તરફથી દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે છે તે મુજબ તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો -‏‏‎ રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ PM Modiના વતન વડનગરમાં યોજાશે

મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત વચ્ચે બેઠક યોજાઈ હતી. સાથે સાથે મંદિરમાં બુધવારે સાંજે 6 કલાકે ટ્રક મોટર એસોસિયેશન (જગદીશ મંદિર રથયાત્રા એસોસિયેશન) દ્વારા વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની રથયાત્રામાં કુલ 101 ટ્રક પોતાના વિશેષ શણગારની સાથે ભાગ લેશે. આ વર્ષેની યાત્રામાં ‘ઓપરેશન સિંદૂર’ તથા વિમાન દુર્ઘટના અંગેના ટેબ્લો પણ હશે. જગન્નાથ મંદિરમાં મગની પ્રસાદી પણ એકત્રિત કરવાનું કાર્ય શરૂ કરવામાં આવી ચૂક્યું છે. આ બેઠકમાં કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલ , ઝોન 3 ડીસીપી, ડીસીપી સાઇબર ક્રાઇમ બ્રાન્ચ લવીના સિંહા, એસીપી સાઇબર ક્રાઇમ બ્રાન્ચ અમિત માંકડિયા પણ જોડાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button