
અમદાવાદઃ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોની સત્તાવાર સંખ્યા બહાર નથી આવી, પરંતુ ભારે મોટી જાનહાનિ થઈ છે. આ પ્લેન એર ઈન્ડિયાનું હતું અને અમદાવાદની લંડન જઈ રહ્યું હતું ત્યારે લેન્ડિંગની લગભગ એક-દોઢ મિનિટમાં જ ધડાકાભેર ક્રેશ થયું અને આગનો ગોળો બની ગયું હતું.
પ્લેનમાં યાત્રી અને સ્ટાફ સહિત કુલ 242 પ્રવાસી હતા અને એકનો ચમત્કારિક બચાવ થયો હોવા સિવાય તમામ મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે આ પ્લેનનો સળગતો ભાગ અહીંની બી જે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર પડ્યો હોવાથી હૉસ્ટેલની મેસમાં જમતા અને અહીં રહેતા ડોક્ટરો અને સ્ટાફની પણ ભારે જાનહાનિ થઈ છે.
આપણ વાંચો: રનવે 34′: અમદાવાદની ઘટનાએ યાદ અપાવી પ્લેન ક્રેશની રિયલ સ્ટોરી!
એર ઈન્ડિયા કંપની ટાટા સંચાલિત હોવાથી ટાટા સન્સ દ્વારા તમામ મૃતકના સ્વજનને રૂ. એક કરોડ વળતરપેટે આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ઈજાગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ પણ કંપની ઉપાડશે, તેમ ટાટાએ જણાવ્યું છે.
આ અકસ્માતમાં બી જે મેડિકલ કૉલેજની હૉસ્ટેલની ઈમારતને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ટાટાએ આ ઈમારતના પુનઃબાંધકામ કરી આપવામાં પણ ફાળો આપવાની જાહેરાત કરી છે.
કંપનીએ તેમની અખબારી યાદીમાં જણાવ્યું છે કે આ ઘટનાથી તેઓ ખૂબ વ્યથિત છે અને તેને મૃતકોના પરિવારને આશ્વાસન આપવા માટે શબ્દો નથી. તેમણે આ દુર્ઘટનાના ભોગ બનેલા તમામ સાથે મક્કમતાપણે ઊભા રહેવાની વાત પણ કરી છે..દરમિયાન બિનસત્તાવાર અહેવાલો અનુસાર મૃતકોનો આંકડો 315 આસપાસ પહોંચી શકે તેમ છે.