અમદાવાદટોપ ન્યૂઝ

પૂર્વ CM રૂપાણીના નિધનને લઈ આવતીકાલે રાજ્યવ્યાપી શોક, રાજકીય સન્માન સાથે રાજકોટમાં થશે અંતિમસંસ્કાર

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના સન્માનમાં ગુજરાત સરકારે આવતીકાલે 16 જૂન, 2025ના રોજ સમગ્ર રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક પાળવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આજે તેમના DNA મેચ થઈ ગયા હતા અને આવતીકાલે તેમના પરિવારને તેમનો પાર્થિવ દેહ સોંપવામાં આવશે. ત્યાર બાદ સાંજે રાજકોટ ખાતે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે.

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે, તેમના સમ્માનમાં ગુજરાત સરકારે આવતીકાલે સમગ્ર રાજ્યમાં એક દિવસનાં રાજકીય શોકની જાહેરાત કરી છે. રાજકીય શોકના નિમિત્તે રાજ્યમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તેવી તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઝુકાવવામાં આવશે. ઉપરાંત, આ દિવસે કોઈ પણ પ્રકારના અધિકૃત મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં.

આવતીકાલે પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે

સ્વર્ગસ્થ પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે રાજકોટ લાવવામાં આવશે, જેનો વિગતવાર રૂટ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. સવારે 11:00 વાગ્યે ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે. સવારે 11:30 વાગ્યે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહનો સ્વીકાર કરવામાં આવશે. સવારે 11:30થી 12:30 વાગ્યે સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ જવા માટે રવાના થશે. બપોરે 12:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી હવાઈ માર્ગે રાજકોટ જવા માટે ટેક-ઓફ કરશે. બપોરે 12:30 થી 2:00 વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ સુધી હવાઈ માર્ગે મુસાફરી થશે.

બપોરે 2:00થી 2:30 વાગ્યે: રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી (રાજકોટ) સુધી પહોંચશે. રાજકોટમાં અંતિમદર્શન માટે નિવાસસ્થાને પહોંચવાશે અને આ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ થઈને પારેવડી ચોક, કેસરી હિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રેન્જ રોડ, નિર્મળા કોન્વેન્ટ રોડથી પ્રકાશ સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાન (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મળા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) પહોંચશે.

ઘરે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાશે

આવતીકાલે સાંજે ચારથી પાંચ વાગ્યા સુધીઃ રાજકોટ સ્થિત નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, સાંજે પાંચથી છ વાગ્યે વાગ્યે નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રા શરૂ થશે. અંતિમયાત્રા નિર્મળા કોન્વેન્ટ રોડથી કોટેચા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાગ્નિક રોડ, માલવીયા ચોક, ત્રિકોણ બાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ, સ્વામિનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ થઈને રામનાથપરા સ્મશાનગૃહ પહોંચશે. જયા સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વિવિધ સ્થળે પ્રાર્થના સભાનું આયોજન

પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે અંતિમવિધિ 17 જૂનના રોજ સાંજે 3:00 થી 6.00 દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભા યોજાશે. 19 જૂને ગાંધીનગર ખાતેના હેલિપેડ ડોમ ખાતે પ્રાર્થના સભા યોજાશે. આ ઉપરાંત, 20 જૂને સાંજે 4:00થી 6:00 વાગ્યા દરમિયાન ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પણ પ્રાર્થના સભા યોજાશે, જ્યાં કાર્યકરો અને અગ્રણીઓ શ્રદ્ધાંજલિ પાઠવશે.

આ પણ વાંચો…પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમયાત્રા: રાજકોટમાં ટ્રાફિક પ્રતિબંધો, પોલીસ કમિશનરનું જાહેરનામું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button