સંસ્કૃત ભાષાને વ્યાપક બનાવવા ગીતા જયંતિએ 34 જિલ્લાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ: ગુજરાતમાં પ્રાચીન ભાષા સંસ્કૃતના વ્યાપક પ્રચાર-પ્રસાર અને પ્રોત્સાહન માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા એક મહત્ત્વપૂર્ણ પહેલ ‘યોજના પંચકમ’ની શરૂઆત કરવામાં આવી છે.આ યોજના પંચકમ અંતર્ગત, આગામી 1 ડિસેમ્બર, 2025 ના રોજ ગીતા જયંતિના દિવસે રાજ્યની જિલ્લા કક્ષાએ 34 સ્થળોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમોમાં શ્રીમદ્ ભગવદ ગીતા યોજના અને શત શુભાષિત કંઠપાઠ યોજનાના પ્રતિભાગીઓને સન્માનિત કરવામાં આવશે અને તેમને પ્રમાણપત્રોનું વિતરણ કરાશે. આ ઉપરાંત, આ કાર્યક્રમોમાં શ્રીમદ્ ભગવદ ગીતાના અધ્યાય 12 અને 15 નું સામુહિક પારાયણ, લોકો માટે સંસ્કૃત પ્રદર્શની અને ભગવદ ગીતા પર વ્યાખ્યાયન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
આગામી સમયમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમ માટે યુનિવર્સિટી કક્ષાએ ‘સંપૂર્ણ ગીતા કંઠપાઠ યોજના’ની સમીક્ષા પણ હાથ ધરવામાં આવશે. આ સમીક્ષા દરમિયાન, શ્રીમદ્ ભગવદ ગીતા યોજના અને શત સુભાષિત કંઠપાઠ યોજનાના પ્રતિભાગીઓના કંઠપાઠની નિપુણતા, ઉચ્ચારણની શુદ્ધતા, શ્લોકોનો લય-છંદ, ભાવ-ભક્તિ અને આત્મવિશ્વાસ સાથેની પ્રસ્તુતિ જેવા ગુણોની ચકાસણી કરવામાં આવશે.



