ગુજરાતના છ જિલ્લાને રવિ પાક માટે મળશે વધારાની વીજળી, ક્યા વિસ્તારોને થશે લાભ ?

અમદાવાદઃ ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે રાજ્ય પ્રધાન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પ્રવક્તા પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રવિ સિઝનના વાવેતરને ધ્યાને રાખીને કેબિનેટ બેઠકમાં વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો હતો. રવિ પાકના વાવેતરને ધ્યાને લઈને ૬ જિલ્લાના ખેડૂતોને આજથી ૮ કલાકની બદલે ૧૦ કલાક વીજ પુરવઠો મળશે. અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, વાવ-થરાદ અને મોરબીના ૧૩ તાલુકાના ખેડૂતોને લાભ મળશે.
નિર્ણય અંગે માહિતી આપતા નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં રવિ સિઝન દરમિયાન જીરાનું પુષ્કળ વાવેતર થાય છે. જીરાના વાવેતર વાળા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે તા. ૨૦ નવેમ્બર-૨૦૨૫થી જ ખેતીવાડી ફીડરોમાં ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઇ માટે વીજ પુરવઠો વધારે આપવા માટે રાજ્યના જનપ્રતિનિધિઓ તથા અનેક ખેડૂતો તરફથી મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતોને હકારાત્મક વાચા આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામા આવ્યો છે. જેનો આશરે ૧,૦૯૦ ગામોના ૪૯,૦૦૦થી વધુ ખેતીવાડી ગ્રાહકોને લાભ મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, જીરાનું વધુ વાવેતર ધરાવતા અમદાવાદના વિરમગામ અને માંડલ, મહેસાણાના બેચરાજી, પાટણના સમી, હારીજ, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર, સુરેન્દ્રનગરના લખતર અને દસાડા, વાવ-થરાદના સુઇગામ અને વાવ તેમજ મોરબી જિલ્લાના હળવદ તાલુકાને રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ વીજ પુરવઠો મળશે.
આ ઉપરાંત દાહોદ જિલ્લાના દાહોદ અને ગરબાડા તાલુકાઓમાં પણ રવિ સિઝન માટે ૮ કલાકના બદલે ૧૨ કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના આ બંને તાલુકાના ૧૯૧ ગામોના ૯,૭૫૮ ખેડૂતોને લાભ મળશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો…સારા સમાચાર: રવિ પાકોના ટેકાના ભાવમાં સરેરાશ ૪ થી ૧૦% નો વધારો; ઘઉં, ચણા, રાયડાના ભાવમાં મોટો વધારો



