31મીએ મોદી ગુજરાતમાંઃ એકતાનગરમાં સરદારની જયંતી માટે જોરદાર તૈયારી | મુંબઈ સમાચાર
અમદાવાદ

31મીએ મોદી ગુજરાતમાંઃ એકતાનગરમાં સરદારની જયંતી માટે જોરદાર તૈયારી

અમદાવાદઃ દેશની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેનારા અને આઝાદી બાદ દેશને અખંડ રાખવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પહેલા નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતા નગરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે.

આ વખતે ઉજવણીની કેવી છે તૈયારીઃ

મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ ભવ્ય ઉજવણીના સમગ્ર કાર્ય આયોજન અંગેની વિસ્તૃત માહીતી આપી છે. નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે. એટલું જ નહિં, ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે.
આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમ(Heralding Team)ના 100 જેટલા સદસ્યો કરવાના છે. એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવતા 9 બેન્ડ કન્ટીજન્સ પણ જોડાવાના છે. ઉપરાંત રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલબેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને લાલ કિલ્લાથી મંત્ર ‘રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક’ને ચરિતાર્થ કરતા કાર્યક્રમો આ એકતા પરેડ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને વધુ ગરિમામય બનાવશે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમે દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતોની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ અવસરે યોજાશે.

મોદી કરશે સરદાર પટેલની પ્રતિમાની પદપૂજા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબની પ્રતિમાની પદ પૂજા કર્યા પછી પરેડ અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આવશે ત્યારે તેમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસની કંટીજન્ટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે અને સમગ્ર કાર્યક્રમનો શાનદાર પ્રારંભ થશે. આ પરેડમાં ‘એકત્વ’ થીમ આધારિત વિવિધ ટેબ્લોઝનું જે નિદર્શન થવાનું છે તેમાં જુદા જુદા રાજ્યો અને CAPF દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા 10 ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે. NDRF, NSG, જમ્મુ કાશ્મીર, આંદામાન એન્ડ નિકોબાર, પુડ્ડુચેરી, મહારાષ્ટ્ર, ગુજરાત, મણીપુર, છત્તીસગઢ અને ઉત્તરાખંડ દ્વારા આ ટેબ્લોઝ રજૂ થવાના છે.

આ ઉપરાંત, ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્યકિરણ અન્વયે ફ્લાય પાસ્ટ તથા CRPF અને ગુજરાત પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રાયફલ ડ્રીલ ,NSG દ્વારા હેલ માર્ચ, આસામ પોલીસ દ્વારા મોટરસાયકલ ડેરડેવિલ શો તેમજ BSFના ઇન્ડિયન બ્રીડનો ડોગ શો, CISF અને ITBPની મહિલા કર્મીઓ દ્વારા ટ્રેડિશનલ માર્શલ આર્ટ, SSB દ્વારા બેન્ડ ડિસ્પ્લે અને NCC કેડેટસ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.

જનતા માટે આ છે વ્યવસ્થા

વધુને વધુ લોકો આ એકતા પરેડ નિહાળી શકે તે હેતુસર આ વર્ષે બેઠક વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને 11,500થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે તેના પર ઓનલાઇન રજીસ્ટ્રેશનથી કોઈપણ વ્યક્તિ આ એકતા પરેડના કાર્યક્રમોમાં જોડાઈ શકે છે.

દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ફોર એડમિનિસ્ટ્રેશન-LBSNAAના 660 જેટલા પ્રશિક્ષણાર્થીઓ ભાગ લેવાના છે.

સરદાર સાહેબના જીવન કવનને ઉજાગર કરતી નાટ્ય પ્રસ્તુતિ ‘લોહપુરુષ’ પણ આ પ્રસંગે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમે રજૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ 15 દિવસ દરમિયાન 45 ફૂડ સ્ટોલ, 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ, વિવિધ રાજ્યોના પેવેલિયન્સ અને 28 રાજ્ય તેમજ 8 કેન્દ્રશાસિત પ્રદેશોના સાંસ્કૃતિક પ્રદર્શનો યોજાવાના છે. ભારત પર્વ-2025 અંતર્ગત 1 થી 15 નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે દેશના જુદાજુદા રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પરંપરાગત કલા-સંસ્કૃતિને ઉજાગર કરશે.

આ સાથે જ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરંપરાગત ખાનપાન વ્યંજનો પીરસતા 45 ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનનું પણ આયોજન છે.

ભારત પર્વની ડેમ વ્યુ પોઇન્ટ-1 ખાતે થનારી 15 દિવસીય ઉજવણીના સમાપને SoU ખાતે સાયકલોથોન ઇવેન્ટ યોજાશે તેમાં 16 નવેમ્બરે ભારત અને ગુજરાત સરકારના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઈડ અને 17 નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરાશે.

આપણ વાંચો:  અમદાવાદ કોર્પોરેશનનું જરુરિયાતમંદ લોકો માટે 10 હજાર ફ્લેટ બનાવવાનું આયોજન

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button