
અમદાવાદઃ સાબરમતીમાં અત્યારે પાણી જોવા મળતું નથી. ક્યાંક ક્યાંક જ્યાં ખાડા છે ત્યાં પાણી ભરાયેલું છે. મળતી વિગતો પ્રમાણે નદીમાં સફાઈ કામ ચાલતું હોવાથી પાણી બંધ કરવામાં આવ્યું છે. પાણી વધારે નથી પરંતુ ખાબોચીયા ભરાયેલા છે. જેથી બાળકો તેમાં નાહવા માટે જતાં હોય છે. આ દરમિયાન સુભાષબ્રિજ નીચે સાબરમતી નદીના પટમાં આવેલા ખાબોચિયામાં ગઈ કાલે શનિવારે 6 જેટલા બાળકો નાહવા પડ્યાં હતા. તેમાંથી ત્રણ બાળકો ડૂબ્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આમાંથી બે બાળકોનું મોત થયું છે. જ્યારે એક બાળકને સીપીઆર આપીને વધારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
દૂધેશ્વરમાં રહેતા 6 લોકો નાહવા માટે પડ્યાં હતાં
હોસ્પિટલમાં દાખલ બાળકની હાલત અત્યારે વધારે ગંભીર છે. સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી દીધી છે. અહીં શનિવારે દીધેશ્વરમાં રહેતા 6 લોકો નાહવા માટે પડ્યાં હતાં. આમાંથી 3 બાળકો ઘરે પરત પહોંચ્યાં હતાં, પરંતુ ત્રણ બાળકો ઘરે પહોંચ્યાં નહોતા. જેથી પરિવારે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યં કે, સુભાષબ્રિજ નીચે ખાડામાં નાહવા પડેલા ત્રણ બાળકો ડૂબ્યાં છે. આ ત્રણેય બાળકોને સ્થાનિકોએ બહાર કાઢ્યાં હતાં. જેમાંથી 9 વર્ષીય વિવેક કબીર અને 12 વર્ષીય સાહિલ મિયણનું ત્યાં જ મોત થઈ ગયું હતું. જ્યારે 14 વર્ષીય જીતુની હાલત વધારે ગંભીર હોવાથી તેના સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી
આ સમગ્ર બનાવ અંગે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે વધારે તપાસ હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે નદીનું સફાઈકામ ચાલી રહ્યું છે. જેના કારણે નદીમાં પાણી બંધ કરવામાં આવ્યું છે. પરંતુ નદીના પટમાં હજી ક્યાં ક્યાં ખાબોચિયામાં પાણી ભરાયેલા છે. જ્યાં નજીક રહેતા બાળકો રમવા અને નાહવા માટે જતાં હોય છે. ખાડા પણ ઊંડા હોવાથી ડૂબવાની ઘટના બની છે. લોકો નદીના પટમાં પરવાનગી વિના ના જાય તે માટે તંત્ર દ્વારા કોઈ પગલા લેવા જોઈએ. અત્યારે નદીમાં પાણી નથી એટલે અંદર લોકો ફરતા દેખાય છે. દરેક લોકોને પાણીથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે તો આવી ઘટનાઓને કાબૂમાં રાખી શકાય. બાકી હવે તંત્ર અને પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.