વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરમતી નદી સ્વચ્છતા મહાઅભિયાન: ૫૭૦૦થી વધુ હોમગાર્ડઝ અને સ્વયંસેવકો જોડાશે…

અમદાવાદ: આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં સાબરમતી નદીના સ્વચ્છતા મહાઅભિયાનનો પ્રારંભ થશે. આ ભગીરથ કાર્યમાં હોમગાર્ડઝના પાંચ હજારથી વધુ જવાનો અને સિવિલ ડિફેન્સના સાતસોથી વધુ સ્વયંસેવકો લોકભાગીદારી કરીને પોતાની માનદ સેવા આપશે. આ અભિયાન અંતર્ગત સરદાર બ્રિજની નીચે NID પાસેના પટ્ટા-વિસ્તારમાં અને અટલ બ્રિજની નીચેના ઘાટ વિસ્તારમાં સાબરમતી નદીમાંથી મોટા પાયે કચરો એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
બે સપ્તાહથી ચાલી રહ્યું છે અભિયાન
અત્રે ઉલ્લેખનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટ પ્રા.લિ. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સંયુક્ત ઉપક્રમે સાબરમતી નદીને સાફ કરવાનું આ સ્વચ્છતા મહાઅભિયાન છેલ્લા બે સપ્તાહથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા તબક્કામાં અને ભાગોમાં નદીની સાફ-સફાઈ હાથ ધરાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત સાબરમતી નદીના પશ્ચિમ છેડે ચાર બ્લોક અને પૂર્વ છેડે પાંચ બ્લોક પાડીને જુદા જુદા ઝોન, વિભાગો, સામાજિક સંસ્થાઓ, NGO સહિતના લોકોના શ્રમદાનની લોકભાગીદારીથી હાલ નદીને સાફ કરવાની કામગીરી ચાલુ છે. આવતીકાલે સવારે 6:45 કલાકે અમદાવાદ શહેર પૂર્વ-પશ્ચિમના તમામ ડિવિઝનના અધિકારીઓ અને હોમગાર્ડઝ જવાનો સંપૂર્ણ સંખ્યામાં હાજર રહેશે.
હોમગાર્ડઝ દળની નિષ્ઠાપૂર્વક સેવા
આ મહાઅભિયાનમાં હોમગાર્ડઝના વડા કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ IPS, જોઈન્ટ ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ શ્રીપાલ શીસ્માં, DYSP એ.એ. શેખ, SSO મનીષ ત્રિવેદી, અમદાવાદ શહેર પશ્ચિમના હોમગાર્ડઝ જિલ્લા કમાન્ડન્ટ કુમાર પટેલ, પૂર્વના જિલ્લા કમાન્ડન્ટ સ્નેહલ પટેલ અને સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન બાબુભાઈ ઝડફિયાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પૂર્વ-પશ્ચિમ જિલ્લાના હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો જોડાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ દળ એક માનદ્ દળ છે અને કુદરતી આફતો, કટોકટી કે આકસ્મિક સંજોગોમાં હંમેશા પોતાની નિષ્કામ સેવા આપવા તત્પર રહે છે. ભૂતકાળમાં વિનાશક ભૂકંપ, પૂર, અને કોરોના મહામારી જેવા કપરા કાળમાં પણ હોમગાર્ડ્ઝ ડિપાર્ટમેન્ટ અને તેના જવાનોએ અત્યંત નોંધનીય અને બહુમૂલ્ય સેવાઓ આપી છે.