અંબાલાલની આગાહી સાચી પડીઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો

અમદાવાદઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી સાચી પડી રહી હોવાનું જણાય છે. આજેનવા વર્ષની મોડી સાંજે દક્ષિણ ગુજરાતના વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીંના ધરમપુર અને કપરડામાં વરસાદના ઝાપટા પડી રહ્યા છે અને સમગ્ર વાતાવરણ વાદળછાયું રહ્યું છે.
નવરાત્રીનો તહેવાર પણ વરસાદને લીધે અડધો બગડ્યો હતો ત્યારે હવે દિવાળીના દિવસોમાં પણ લોકોએ રેઈનકોટ પહેરીને નીકળવું પડે તેમ લાગી રહ્યું છે. જનજીવનને થતી અસર સાથે ખેડૂતોના ભારે નુકસાન પહોંચશે, તેમ માનવામાં આવે છે.
ધરમપુરના અંતરિયાળ ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખેડૂતોને શિયાળુ પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે.
આપણ વાંચો: અંબાલાલ પટેલે વધારી ખેલૈયાઓની ચિંતા, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ
રાજ્યમાં એક સાથે ત્રણ ઋતુ
સમગ્ર ગુજરાતમાં વહેલી સવારે ઠંડીનો માહોલ રહે છે. સવારે ગુલાબી ઠંડી બાદ નવેક વાગ્યે સુરજ નીકળે છે અને બે કલાકમાં તો આકરો તાપ શરૂ થઈ જાય છે, જે મોડી સાંજે સાતેક વાગ્યા સુધી અનુભવાઈ છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં થતા ફેરફારો આ પ્રકારના ઝાંપટા લાવી રહ્યું હોવાનું કહેવાય છે.
શું છે આગાહી ?
અગાઉ થયેલી આગાહી મુજબ, 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે, જેના કારણે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જામશે. કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને અસર કરશે. બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સંયુક્ત પ્રભાવને કારણે વરસાદી માહોલ સર્જાશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. ગુજરાતની આસપાસ 2 વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતમાં ઓક્ટોબરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. હજુ પણ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠા રૂપી આફત જોવા મળશે. આમ માવઠાનો કહેર આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે.