અમદાવાદ પ્લેન ક્રેશઃ રેલવે મદદે દોડી, મેડિકલ હેલ્પ સાથે ખાસ ટ્રેન દોડાવી

અમદાવાદઃ અમદાવાદમાં પ્લેનક્રેશની બનેલી કરૂણાંતિકા બાદ શહેરમાં યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે અમદાવાદ રેલવે મંડળ તાત્કાલિક મદદ આપી ફરજ નિભાવી છે. અમદાવાદ રેલવે મંડળના જણાવ્યા અનુસાર રેલવેએ પ્રોટેક્શન ફોર્સ અને મેડિકલ ટીમ રવાના કરી દીધી છે. બચાવકાર્યમાં આરપીએફ કામે લાગી ગયું છે ત્યારે 6 ડોક્ટર સહિતનો 20 જણનો મેડિકલ સ્ટાફ અને સાત એમ્બ્યુલન્સ પણ રેલવેએ રવાના કરી છે.
રેલવેની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને હૉસ્પિટલ ટીમ હાલમાં બચાવકાર્યમાં જોડાઈ છે અને દરેક પ્રકારની મદદ માટે સજજ છે.
આ પણ વાંચો: આવો છે ભારતનો પ્લેન ક્રેશ દુર્ઘટનાનો કાળો ઈતિહાસ…
આ સાથે રેલવેએ જણાવ્યું હતું કે રેલવેએ હાલમાં અમદાવાદથી મુંબઈ અને દિલ્હી માટે બે વિશેષ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે અને જરૂર જણાશે તો વધારે ટ્રેન અમદાવાદથી દોડાવવા માટે સજજ છે, તેમ રેલવેએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગુરુવારે બપોરે એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ભયાનક ધડાકા સાથે તૂટી પડ્યું હતું. ફ્લાઈટમાં 242 મુસાફર હોવાની માહિતી મળી છે, જેમાંથી 150 જેટલા મુસાફરો મૃત્યુ પામ્યાના સમાચાર છે. આ સાથે આ પ્લેન મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર પડ્યું હોવાથી અહીં રહેતા રેસિડેન્શિયલ ડોક્ટરોના મોતની પણ આશંકા સેવવામાં આવી રહી છે. કુલ મરણાંક અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી નથી.