અમદાવાદના ચંડોળા તળાવના અસરગ્રસ્તોનો વિરોધઃ એએમસી ઓફિસ પાસે સૂત્રોચ્ચાર, મકાન ફાળવવાની માંગ | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદના ચંડોળા તળાવના અસરગ્રસ્તોનો વિરોધઃ એએમસી ઓફિસ પાસે સૂત્રોચ્ચાર, મકાન ફાળવવાની માંગ

અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં તંત્રએ થોડા મહિના પહેલા મેગા ડીમોલેશન કર્યું હતું. કાર્યવાહીમાં અનેક દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતાં. થોડા સમય પહેલા અહીં વર્ષ 2010 પહેલા રહેતા તેમ જ જેમની પાસે રહેઠાણના પુરાવા આવો હોય તેવા લોકોને મકાન આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી.

છેલ્લા એક મહિનાથી કોર્પોરેશન દ્વારા અરજી મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ દ્વારા ચંડોળાવાસીઓ સાથે મણિનગર દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. બે મહિનામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી અને ચંડોળાવાસીઓને મકાન આપવા અંગેની માગ કરી હતી.

શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે ચંડોળા ખાતે 50 વર્ષથી વધુ સમયથી રહેતા ભારતીય ગરીબ લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2010ની પોલીસી મુજબ ચંડોળા ખાતે ભારતીય ગરીબ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઈડબલ્યુએસ આવાસ યોજના હેઠળ આવાસો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મકાનો આપવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી અને મકાનો તોડ્યાને પાંચ માસથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી તેઓને આવાસ ફાળવવામાં આવ્યા નથી. 2300 જેટલા નાગરિકો દ્વારા અરજી કરવામાં આવી છે પરંતુ હજી આ તમામ અરજીઓનું સમયસર નિકાલ કરવામાં આવ્યો નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચંડોળા તળાવમાં જે લોકો ગેરકાયદે રીતે વસવાટ કરતા હતા તેમને એપ્રિલ મે મહિનાની અંદર આ વિસ્તારથી દૂર કરવામાં આવ્યા હતા, જે લોકો 2010 પહેલા રહેતા હોય અને તેની પાસે તેના પુરાવા હોય એ લોકોને ઇડબલ્યુએસના મકાન આપવા માટે પોલીસી જાહેર કરવામાં આવી હતી. આ ચંડોળા વિસ્તારના લોકો માટે પણ ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા અને કેમ્પ રાખીને સતત ફોર્મ ભરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એના માટે મુદ્દત લંબાવવામાં આવી હતી.

15 સપ્ટેમ્બર સુધી પુરાવા રજૂ કરવા માટે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું જેમાંથી લગભગ 2300ની આસપાસ ફોર્મ ભરવામાં આવ્યા છે. આ 2300માંથી હજુ પણ 700 જેટલા લોકો એવા છે કે જેણે જવાબ આપ્યા નથી એટલે આ લોકોની પાસે પુરાવા લેવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. જેથી કોઈને મકાન લેવામાં બાકી નહીં રહે જાય જેટલા પણ પુરાવા આવશે તેમ જ સમય મર્યાદાઓ પૂરી થશે તો એમને મકાન આપવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે.

આપણ વાંચો : અમદાવાદની સ્કૂલનો વિવાદાસ્પદ નિર્ણયઃ વિદ્યાર્થિનીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ: વાલીઓનો હોબાળો

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button