Top Newsઅમદાવાદ

ગુજરાતમાં કયા 6 સિનિયર IPS અધિકારીઓને મળ્યું પ્રમોશન, 2022-23 બેચના 9 IPS અધિકારીઓને પોસ્ટિંગ, જુઓ લિસ્ટ

અમદાવાદઃ રાજ્યમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ 6 સિનિયર આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રમોશનમાં બે સિનિયર અધિકારીઓને DGP તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે ચાર અધિકારીઓને DIGમાંથી IG તરીકે પ્રમોશન મળ્યું હતું.

કયા બે 2 IPS અધિકારીઓને DGP તરીકે મળી બઢતી

નોટિફિકેશન મુજબ, 1994 બેચના IPS અધિકારી મનોજ શશિધરને DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેઓ હાલમાં કેન્દ્રીય ડેપ્યુટેશન પર CBIમાં કાર્યરત છે. તેમજ 1995ની બેચના સિનિયર IPS અધિકારી રાજુ ભાર્ગવને પણ DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.

કયા 4 IPS અધિકારીઓને IG તરીકે મળી બઢતી

આ ઉપરાંત 4 IPS અધિકારીઓને DIGમાંથી IG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેમાં 2007ની બેચના દિવ્યા મિશ્રા, 2007ની બેચના દીપન ભદ્રન, 2007ની બેચના સૌરભ તોલંબિયા અને 2007ની બેચના પરીક્ષિતા રાઠોડને IG તરીકે બઢતી આપવામાં આવી હતી.

2022-23 બેચના 9 IPS અધિકારીઓને પોસ્ટિંગ

આ ઉપરાંત 2022-2023ની બેચના IPS અધિકારીઓને તાલીમ બાદ ASP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. જેમાં 2022ની બેચના અંકિતા મિશ્રાને ASP અસલાલી (અમદાવાદ), 2022ની બેચના ઘનશ્યામ ગૌતમને ASP ભાવનગર ગ્રામ્ય, 2022ની બેચના અક્ષેશ મહેન્દ્રભાઇને ASP માંડવી (સુરત), 2022ની બેચના હર્ષ શર્માને ASP બોડેલી (છોટા ઉદેપુર), 2023ની બેચના ગૌતમ વિવેકાનંદને ASP મુંદ્રા (કચ્છ), 2023ની બેચના વેદીકા બિહાનીને ASP સુરેન્દ્રનગર, 2023ની બેચના નવિન ચક્રવર્તી રેપુટીને ASP જસદણ (રાજકોટ ગ્રામ્ય), 2023ની બેચના વિકાસ યાદવને ASP સંતરામપુર (મહિસાગર) અને 2023ના બેચના સંદિપ ટીને ASP ધરમપુર (વલસાડ) તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું.

મનોજ શશિધર કોણ છે?

જન્મ 14 નવેમ્બર 1970, 1994 બેચના IPS મનોજ શશિધર કેરળના છે. તેમણે એમએ અને પછી એલએલબી કર્યું છે. તેઓ અત્યાર સુધી સીબીઆઈના દિલ્હી મુખ્યાલયમાં એડિશનલ ડિરેક્ટર હતા. હવે કેન્દ્ર સરકારે તેમને મોટી જવાબદારી સોંપી છે. મનોજ શશિધર ડીજી રેન્કના અધિકારી છે. આઈપીએસ મનોજ શશિધર જાન્યુઆરી 2020 માં સીબીઆઈમાં પોસ્ટ થયા હતા. ત્યારબાદ તેમને જોઈન્ટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને પૂરા પાંચ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ઘણી જવાબદારીઓ સંભાળી

મનોજ શશિધરને ઓક્ટોબર 2016 માં વડોદરા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત સરકારે 21 IPS અધિકારીઓની બદલી કરી અને તેમને વડોદરાની જવાબદારી સોંપી હતી. અગાઉ તેઓ ગાંધીનગર રેન્જ IGP હતા. મનોજ શશીધર એ સમયે ઇ. રાધાકૃષ્ણનનું સ્થાન લીધું હતું. તેઓ જુલાઈ 2018 સુધી વડોદરા CP હતા. આ સમય દરમિયાન એક મોટો પ્રખ્યાત કિસ્સો બન્યો. આમાં દક્ષિણ ભારતીય પરિવારના એક ભાજપ અધિકારીએ 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

વડોદરા મેડિકલ કોલેજમાં પ્રવેશના નામે આ છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યારે આ મામલો મનોજ શશીધર સુધી પહોંચ્યો ત્યારે તેમણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 21 લાખ રૂપિયાની વસૂલાત સુનિશ્ચિત કરી. આ સાથે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. વિદ્યાર્થીને કાઉન્સેલિંગમાં રાજકોટ મેડિકલ કોલેજ મળી. છેતરપિંડી કરનારે વડોદરામાં પ્રવેશ મેળવવાની લાલચ આપી હતી. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીને પ્રવેશથી વંચિત રાખવામાં આવી. ત્યારબાદ મનોજ શશીધરના આદેશ પર, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી હતી.

CBI એ રિયા ચક્રવર્તી સહિત છ લોકો સામે FIR નોંધી હતી

વડોદરા પછી, તેમને ગોધર-પંચમહાલ IG રેન્જના પદ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે સમયે તે ADGP રેન્કના અધિકારી હતા. આ જવાબદારી પછી, સરકારે તેમને ગાંધીનગરના પોલીસ ભવનમાં ADGP (ઇન્ટેલિજન્સ) ના પદ પર ટ્રાન્સફર કર્યા હતા. ત્રણ મહિના પછી, નવા આદેશમાં, તેઓ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર ગયા હતા. મનોજ શશિધરને 2018 માં ADGP તરીકે બઢતી આપવામાં આવી છે.

CBI માં તેમની પોસ્ટિંગ દરમિયાન, મનોજ શશિધરને એપ્રિલ 2020 માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સોંપવામાં આવી હતી. તેમની સાથે ગુજરાત કેડરના IPS ગગનદીપ ગંભીર અને અન્ય બે IPS અનિલ યાદવ અને નુપુર પ્રસાદ ટીમમાં હતા. ત્યારબાદ CBI એ રિયા ચક્રવર્તી સહિત છ લોકો સામે FIR નોંધી હતી.

આ પણ વાંચો… ગુજરાત પોલીસમાં ખળભળાટ: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સિનિયર IPS અધિકારીઓનો ક્લાસ લીધો!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button