અમદાવાદ

પ્લેન દુર્ઘટના: મૃતકોના પરિવારજનોને તાત્કાલિક વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ

અમદાવાદ: 12 જૂનના અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સંબંધિત જિલ્લાના કલેક્ટર દ્વારા વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોનો સંર્પક કરી કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે સંબંધિત જિલ્લાનાં હિસાબી અધિકારી/અન્ય અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વિમાન દુર્ઘટનામાં પ્રભાવિત થયેલા લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ પ્રોસેસ કરવામાં સરળતા રહે તે માટે IRDAના નોટિફિકેશન અન્વયે હોસ્પિટલ ખાતે જોઇન્ટ સેલ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ વતી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીને લીડ ઈન્શ્યોરર તથા લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ વતી એચડીએફસી લાઇફને લીડ ઈન્શ્યોરર નીમવામાં આવી છે.

વહીવટી તંત્રની સહાયથી હેલ્પ ડેસ્ક ઊભા કરવામાં આવ્યાં

જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી સિવિલ હોસ્પિટલ ખાતે ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ તેમજ એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ અને LICના હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા છે, જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં મુસાફરો તથા અન્ય પ્રભાવિત લોકોના ઈન્શ્યોરન્સ ક્લેમ સરળતાથી અને ઝડપથી પ્રોસેસ થાય તથા તે માટે તેમને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દુર્ઘટનાગ્રસ્તોના પરિવારજનોને સંબંધિત ઈન્શ્યોરન્સ કંપનીના નોડલ ઓફિસરની માહિતી પણ પૂરી પાડવામાં આવે છે.

ડીએનએ સેમ્પલ માટે કુલ 12 ટીમ કાર્યરત

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈન્શ્યોરન્સ કંપનીને પેસેન્જર લિસ્ટના આધારે તથા અન્ય જરૂરી માહિતી પૂરી પાડીને ક્લેમ ઝડપથી પ્રોસેસ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ડીએનએ સેમ્પલ માટે કુલ 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે, તેમના દ્વારા ડીએનએ મેચીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોના સંબંધી સાથે સંકલનમાં રહી કાઉન્સેન્લિંગનું પણ કામકાજ ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગના દ્વારા ટ્રોમા સેન્ટરમાં 100 આરોગ્ય કર્મચારીઓ સહિત તમામ આરોગ્યને લગતી કામગીરી માટે 855થી વધુ હેલ્થ સ્ટાફ રાહત-બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યાં છે.

અત્યાર સુધીમાં કુલ 35 મૃતદેહ સોંપવામાં આવ્યાં
હાલમાં પીડિત મુસાફરો તથા સ્થાનિક રહેવાસીઓના સગાંસંબંધીઓના કુલ 250 બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે તે પૈકી 62 ડીએનએ મેચ થયા છે. આ મેચ થયેલાં ડીએનએ પૈકી 27 મૃત દેહ સોંપવામાં આવ્યાં છે. આ ઉપરાંત, ડીએનએ વિના ઓળખાયેલા 8 મૃત દેહોની ગઈકાલે તેમના પરિજનોને સોંપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 35 મૃતદેહ સોંપવામાં આવ્યાં છે. હવે ફક્ત 3 મુસાફરોના સગાંસંબંધીઓના સેમ્પલ લેવાના બાકી છે. આ સગાંસંબંધીઓ હાલમાં યુ.કે.માં રહે છે, અને આગામી 2-3 દિવસમાં સેમ્પલ આપવા આવશે તેમ જણાવ્યું છે.

મૃતદેહ સોંપવાની કરવાની કાર્યવાહી માટે, દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો સાથે સતત સંકલન માટે જિલ્લા તંત્રએ 250થી વધુ નોડલ અધિકારી તથા આસી. નોડલ અધિકારીઓની નિમણુંક કરી છે. આ તમામ કાર્યવાહીનું યોગ્ય રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટે સુપરવિઝન અધિકારીઓની પણ નિમણુંક કરવામાં આવી છે.

આ પણ વાંચો -‏‏‎ પૂર્વ CM રૂપાણીના નિધનને લઈ આવતીકાલે રાજ્યવ્યાપી શોક, રાજકીય સન્માન…

હોસ્પિટલ પર એર ઈન્ડિયાની ટીમ ઉપલબ્ધ

એર ઈન્ડિયાની ટીમ પણ સિવિલ હોસ્પિટલ ખાતે 24×7 ઉપલબ્ધ છે. જેમ જેમ દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો આવી રહ્યાં છે, તેમ તેમ તેઓની જરૂરિયાત મુજબની એર ટિકીટની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. આ પરિવારજનો માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે રાજ્યના માર્ગ મકાન વિભાગે વાહન તથા રહેવાની વ્યવસ્થા પણ કરી છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ હેલ્પલાઈન અને કંટ્રોલરૂમ મારફતે અત્યાર સુધીમાં લગભગ 1700 જેટલા ફોન કોલ્સ મળ્યાં છે તે અન્વયે યોગ્ય સંકલનથી કાર્યવાહી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button