અમદાવાદમાં બકરી ઇદ પહેલાં પોલીસનું કડક જાહેરનામું: જાહેરમાં કુરબાની પર પ્રતિબંધ

અમદાવાદ: આગામી 07 જૂન, 2025 ના રોજ આવનારા “બકરી ઇદ એટલે કે ઈદ-ઉલ-અઝાના તહેવાર આવે છે. આ તહેવારની ઉજવણી દરમિયાન સુલેહશાંતિનો ભંગ ના થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામાના મુખ્ય અંશો
પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- 2023ની કલમ-163 હેઠળ જારી કરાયેલા આ આદેશ મુજબ, શહેરમાં શાંતિ અને સદભાવ જળવાઈ રહે તે માટે નીચે મુજબના નિયમો લાગુ પડશે:
જાહેરમાં કુરબાની પર પ્રતિબંધ: કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં, જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં.

પશુ પ્રદર્શન પર પ્રતિબંધ: કોઈપણ પ્રાણીને શણગારીને એકલા કે સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવાની શક્યતા રહેલી છે.
અવશેષોનો નિકાલ: ‘બકરી ઇદ’ તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અન્ય અવશેષો જાહેરમાં ફેંકવા નહીં. યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવો પડશે.
12 જૂન સુધી લાગુ રહેશે આ જાહેરનામું
આ જાહેરનામું તા. 03 જૂન, 2025થી તા. 12 જૂન, 2025 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા -2023 ની કલમ-223 અન્વયે શિક્ષાને પાત્ર થશે. આ નિર્ણય બકરી ઇદના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા સામાજિક સૌહાર્દ જાળવવા માટે લેવામાં આવ્યો છે.