પીએમ મોદીના આગમનના પગલે અમદાવાદ રિવરફ્રન્ટ અને ગાંધીઆશ્રમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમદાવાદઃ પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે પીએમ મોદી અને જર્મનના ચાન્સેલર સોમવારે અમદાવાદ ગાંધીનગરની મુલાકાતે છે. જેને પગલે અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા એસપીજી સાથે મળીને મોદી અને જર્મન ચાન્સેલરના રૂટ પર ઓન ટાઇમ રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમમાં સ્થળે અને રૂટ પર પોલીસ બંદોબસ્ત સાથે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરાવશે
પીએમ મોદીના અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા કાઇટ ફેસ્ટિવલ અને ગાંધીઆશ્રમની મુલાકાતને પગલે ચાર હજાર જેટલા પોલીસ કર્મી અને અધિકારીઓ તૈનાત રહેશે. જ્યારે ટ્રાફિક વિભાગના અધિકારી-કર્મીઓ મળીને 1086નો સ્ટાફ તૈનાત રહેશે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સેલર ફ્રેડરીચ મર્ઝની સાથે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ઘાટન માટે આવશે. આ પહેલાં બન્ને મહાનુભાવો સાબરમતી આશ્રમ ખાતે પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાસૂમન અર્પણ કરશે. પતંગ મહોત્સવના ઉદ્ઘાટન બાદ બન્ને રાષ્ટ્રના મહાનુભાવો સીધા ગાંધીનગર જવા રવાના થશે.
પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ઐતિહાસિક બેઠક
વૈશ્વિક અનિશ્ચચતાઓ વચ્ચે ભારત અને જર્મની વચ્ચે મજબૂત ભાગીદારીના સંકેત મળી રહ્યા છે. પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન સોમવારે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ વચ્ચે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મહત્વની બેઠક યોજાશે. જેમાં બંને દેશો વચ્ચે વ્યાપારિક સબંધો સહિતના અનેક મુદ્દે વાટાઘાટો કરશે. જેમાં વેપાર, રોકાણ, સંરક્ષણ, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને વૈશ્વિક સુરક્ષા પડકારો પર પણ ચર્ચા કરવામાં આવશે.



