અમદાવાદટોપ ન્યૂઝ

પ્લેન ક્રેશ મુદ્દે હવે ઈન્ટરનેશનલ નિષ્ણાતે આપ્યું ચોંકાવનારું નિવેદન

અમદાવાદ: એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થવા પાછળનું કારણ હવે સવાલોના ઘેરામાં છે. આ અંગે અમેરિકાના જાણીતા એવિએશન નિષ્ણાત જ્હોન એમ. કોક્સે એક મોટો ખુલાસો કર્યો છે. કોક્સના મતે, વિમાનના પાર્ટ્સ યોગ્ય રીતે ગોઠવાયેલા (કોન્ફિગર) નહોતા, જેના કારણે આ દુર્ઘટના બની હતી.

એસોસિયેટેડ પ્રેસ સાથેની વાતચીતમાં કોક્સે જણાવ્યું કે તેમણે દુર્ઘટના સંબંધિત જે વીડિયો જોયા છે, તે પરથી લાગે છે કે પાર્ટ્સ યોગ્ય રીતે આકાર લઈ શક્યા નહોતા, જેને કારણે ટેકઓફ થતા જ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા.

કોક્સે વધુ શું કહ્યું?

વોશિંગ્ટન ડીસી સ્થિત સેફ્ટી ઓપરેટિંગ સિસ્ટમના સીઇઓ કોક્સનું કહેવું છે કે તેમને એક ગરબડ જોવા મળી રહી છે, જેમાં વિમાન ઉપર ચડવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે ‘સ્લૈટ્સ’ અને ‘ફ્લૈપ્સ’ યોગ્ય સ્થિતિમાં નહોતા. આ બાબતની તપાસ થવી જોઈએ. કોક્સે આગળ જણાવ્યું કે, “તમે દુર્ઘટના સમયની જે તસવીર જોશો, તેમાં પ્લેનનો આગળનો ભાગ ઉપરની તરફ ઊઠતો અને પછી નીચેની તરફ પડતો દેખાઈ રહ્યો છે. આનો અર્થ એ છે કે ટેકઓફ સમયે પ્લેન પર્યાપ્ત લિફ્ટ ઉત્પન્ન કરી શકતું નહોતું.” જ્હોન એમ. કોક્સના મતે, ‘સ્લૈટ્સ’ અને ‘ફ્લૈપ્સ’ને એવી રીતે રાખવા જોઈએ કે પાંખો ઓછી ગતિએ વધુ લિફ્ટ બનાવી શકે.

કોક્સનું નિવેદન શા માટે મહત્ત્વનું છે?

કોક્સ અમેરિકાના જાણીતા વિમાન સલાહકાર છે. બોઇંગ વિમાન અહીં જ બનાવવામાં આવે છે, અને એર ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થયું તે બોઇંગનું જ હતું. આવા સંજોગોમાં કોક્સની વાતને અવગણી શકાય નહીં. કોક્સના નિવેદન ઉપરાંત, અમેરિકાએ કહ્યું છે કે જો ભારત સરકારની સંમતિ મળે તો તેઓ આ દુર્ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગશે. અમેરિકી સરકારે તપાસની જવાબદારી NTSB (નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ) ને સોંપી છે. NTSB દર વર્ષે લગભગ 450 આંતરરાષ્ટ્રીય તપાસોની સાથે 2,000 થી વધુ ઘરેલું દુર્ઘટનાઓની તપાસમાં પણ મદદ કરે છે.

બ્લેક બોક્સ ખોલશે અંતિમ રહસ્ય

દુર્ઘટના બાદ બ્લેક બોક્સને સુરક્ષિત રાખવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાના સાચા કારણનો ખુલાસો બ્લેક બોક્સ દ્વારા જ થશે. બ્લેક બોક્સને FDR (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) પણ કહેવાય છે, જે ફ્લાઇટના તમામ ડેટાને રેકોર્ડ કરે છે. ભારતમાં વિમાન સંચાલનની જવાબદારી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) પાસે છે. તેથી, હવે વિમાન દુર્ઘટનાની તપાસ પણ DGCA પોતાના નિયમો અનુસાર જ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button