અમદાવાદઃ મકરબામાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરાશે, અમિત શાહે કર્યું વૃક્ષારોપણ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત સરખેજના મ્યુનિસિપલ પ્લોટમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાનના હસ્તે વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું હતું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન સાથે ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ વૃક્ષારોપણ કરી ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનમાં સહભાગી થયા હતા. આ પ્લોટમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઓક્સિજન પાર્ક ડેવલપ કરવામાં આવશે. આશરે 3658 ચો.મી. વિસ્તારમાં કુલ 4 બ્લોકમાં 380 જેટલા મોટા વડનું વાવેતર તથા 11420 ઇન્ડિજિનસ રોપાનું મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરાશે.

આપણ વાંચો: રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે ગુજરાતમાં પ્રથમ
શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 40 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વૃક્ષરથ નાગરિકોને ઘરે જઈને વિનામૂલ્ય વૃક્ષારોપણ કરી આપશે. આ માટે એએમસી સેવા એપ પરથી પણ નાગરિકો વૃક્ષારોપણમાં સહભાગી થઈ શકશે.