અમદાવાદમાં પ્લેન ક્રેશ: વિપક્ષે ચૂંટણી કાર્યક્રમો સ્થગિત કર્યાં

અમદાવાદ: આજે બપોરે અમદાવાદના મેઘાણીનગરમાં એક દુઃખદ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) ટેકઓફના થોડી જ મિનિટો બાદ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.
વિમાનમાં 242 યાત્રી અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ સામેલ હતા. આ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને વિરોધ પક્ષ દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને ચૂંટણીલક્ષી કાર્યક્રમો સ્થગિત કારવાની જાહેરાત કરી છે.
આપણ વાંચો: અતુલ્યમ હોસ્ટેલ પર વિમાન દુર્ઘટના: અનેક ઈન્ટર્ન ડોક્ટરના મોતની આશંકા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું, તેમણે કહ્યું, “અતિશય કરુણ અને ન કલ્પી શકાય એવા દુઃખદ સમાચાર મળ્યા. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ થયાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું.
આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘાયલ થયા છે તેવા સમાચારોથી ખુબ વ્યથિત છું. તેમણે દુર્ઘટનાગ્રસ્ત લોકોને મદદરૂપ બનવા, બ્લડ ડોનેટ કરવા અને પ્રશાસનને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવા કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરી હતી.
આપણ વાંચો: અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: બે જેટ વચ્ચે ટક્કર, એકનું મોત
જાહેર સભાઓ, રેલીઓ રદ્દ કરવાની ઘોષણા
શક્તિસિંહ ગોહિલે આગળ કહ્યું કે વિસાવદર અને કડીની પેટા ચુંટણીઓ ચાલી રહી છે ત્યારે આજના દિવસની તમામ જાહેર સભાઓ, સ્વાગત સમારોહ, રેલીઓ રદ્દ કરવાની ઘોષણા કરું છું. સમગ્ર કોંગ્રેસ પરિવાર શોકગ્રસ્ત પરિવારોની સાથે દુઃખમાં સહભાગી છે. ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરું છું અને મૃતકોને શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું.
આપે ચૂંટણીલક્ષી તમામ કાર્યક્રમો સ્થગિત કર્યા
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને ધ્યાને લઈને આમ આદમી પાર્ટીએ આજરોજ અને આવતીકાલના ચૂંટણીલક્ષી તમામ કાર્યક્રમો સ્થગિત કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું ગુજરાત ઉપર આવી પડેલી આફતના સમયે હું અને અમારી પાર્ટી કોઈપણ પ્રકારની રાજકીય ટીકા-ટીપણી કર્યા વગર સંવેદનશીલતા સાથે ગુજરાત સરકારના સ્પષ્ટ અને મજબૂત સમર્થનમાં છીએ. તેમણે આ ઘટના પર સંવેદના અને દિલગીરી વ્યક્ત કરી હતી.