હવે PUC નહીં હોય તો પણ આવશે મેમો, અમદાવાદીઓ તૈયાર રહેજો | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

હવે PUC નહીં હોય તો પણ આવશે મેમો, અમદાવાદીઓ તૈયાર રહેજો

અમદાવાદ: રાજકોટમાં બે દિવસથી ફરજીયાત હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ વધુ એક મોટું પગલું ભર્યું છે. જે મુજબ અમાન્ય પીયુસી ધરાવતા વાહન ચાલકોને પણ મેમો મળશે. અત્યાર સુધીમાં શહેરના 110 જંકશન પર લગાવેલા સીસીટવી કેમેરાનો ઉપયોગ હેલ્મેટ નહીં પહેરવા, વધુ ઝડપે વાહન ચલાવવા, સિગ્નલ પર ઉભા ન રહેવા જેવા વિવિધ નિયમોના ભંગ બદલ થતો હતો. હવે આ ફૂટેજનો ઉપયોગ પ્રદૂષણ ફેલાવતા વાહનોને ઓળખવા માટે પણ થશે. જો વાહનોનું પીયુસી સર્ટિફિકેટ અનધિકૃત વેન્ડર પાસેથી લીધેલું હશે, એક્સપાયર થઈ ગયું હશે અથવા બંને હશે તો ઈ-ચલણ જારી કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના જંક્શન પર સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ કેમેરાનું ફૂટેજ કંટ્રોલ રૂમમાં મોનિટર કરવામાં આવે છે, જ્યાંથી ઈ-ચલણ જનરેટ થાય છે. હાલમાં, અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન માટે ચલણ જારી કરે છે. હવે આ સિસ્ટમ અપડેટ કરવામાં આવી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું, ઈ-ચલણ સિસ્ટમને હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય સાથે જોડવામાં આવી રહી છે. આનાથી જેમની પાસે વેલિડ પીયુસી નથી તેમને ઈ-ચલણ આપવામાં આવશે.

આ ઉપરાંત તેમણે કહ્યું, જે વાહનો સમયસર પીયુસી નહીં મેળવે તેમને દંડ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વાહનો સ્પષ્ટપણે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેમના પ્રમાણપત્રની પણ તપાસ થઈ શકશે. જો કોઈ વાહન પાસે માન્ય પીયુસી હોવા છતાં પણ જરૂરી સર્વિસ બાદ પણ ધૂમાડો છોડવાનું ચાલુ રાખશે તો તેમને ઓળખીને દંડ કરવા માટે પણ એક સિસ્ટમ ગોઠવવામાં આવશે.

શહેરમાં હાલ ક્યાં ક્યાં લગાવવામાં આવ્યા છે કેમેરા

આઠ વર્ષ પહેલાં, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને રેકોર્ડ કરવા અને ગુનેગારોને દંડ કરવા માટે, અમદાવાદ સ્માર્ટ સિટી કંપનીએ ‘સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેક્ટ હેઠળ ₹ 239 કરોડના ખર્ચે શહેરમાં 6500 સીસીટીવી કેમેરા લગાવવાની યોજના બનાવી હતી. આમાંથી 130 જંક્શન પર ₹ 16.20 કરોડના ખર્ચે 1999 કેમેરા લગાવવામાં આવ્યા હતા અને હાલમાં 110 ટ્રાફિક જંક્શન પર 1749 કેમેરા કાર્યરત છે. સૌથી વધુ 347 કેમેરા નવરંગપુરા વોર્ડમાં છે, ત્યારબાદ બોડકદેવમાં 170 અને જોધપુરમાં 137 કેમેરા છે.

આ વોર્ડમાં છે 100થી વધુ કેમેરા

જે વોર્ડમાં 100થી વધુ કેમેરા છે તેમાં નારણપુરા, જમાલપુર અને મણિનગરનો સમાવેશ થાય છે. મેટ્રો રેલ અને ફ્લાયઓવર પ્રોજેક્ટને કારણે વાડજ, નરોડા પાટિયા અને નારણપુરા પલ્લવ ક્રોસરોડ્સ જેવા જંક્શન પરથી લગભગ 250 કેમેરા હટાવી દેવામાં આવ્યા છે. હાલ કોર્પોરેશને વધુ 100 જંક્શન પર સીસીટીવી કેમેરા લગાવવાનું શરૂ કર્યું છે. આ કેમેરા આઈઆઈએમ બ્રિજના છેડે, ભાડજ સર્કલ પાસે, કંદર્પ બંગલોઝ, ગ્રીનવુડ્સ નજીક એસપી રિંગ રોડ પર, માલાબાર કાઉન્ટી-છારોડી, સુભાષ ચોક, વસ્ત્રાપુરમાં સંજીવની હોસ્પિટલ પાસે, સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ માર્ગ પર, મકરબા ક્રોસરોડ્સ, શાંતિપુરા સર્કલ, જીવરાજ પાર્ક ક્રોસરોડ્સ જેવા સ્થળોએ લગાવવામાં આવશે.

આ પણ વાંચો…આ તારીખથી દિલ્હીમાં જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ કે ડીઝલ, આ નિર્ણયની કોને થશે અસર?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button