
અમદાવાદઃ નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ ગુજરાતની વિવિધ સંસ્થાઓમાં 250 મેડિકલ કોલેજની બેઠકમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી. એનએમસીનું આ પગલું દેશવ્યાપી 6,000થી વધુ બેઠકમાં કાપ મૂકવાનો એક ભાગ છે, જે લગભગ 750 કોલેજને અસર કરશે. તાજેતરમાં વિવિધ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા વ્યાપક નિરીક્ષણો પછી એનએમસી દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
મેડિકલ સીટમાં ઘટાડો કર્યો
ગુજરાતમાં મેડિકલ સીટોની કુલ સંખ્યા પહેલા 6,900 હતી, હવે તેમાં 250નો ઘટાડો કરવામાં આવતા વિદ્યાર્થીઓના મેડિકલ પ્રવેશમાં પણ ઘટાડો થશે. કલોલ સ્થિત સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચમાં વ્યાપક ગેરરીતિઓ અને મોટા પ્રમાણમાં અનિયમિતતાઓ જોવા મળી હોવાથી તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આપણ વાંચો: નેશનલ મેડિકલ કમિશનના લોગોમાં હિન્દુ દેવતાની છબી અંગે વિવાદ
સંસ્થાઓએ મેડિકલ સીટ ગુમાવી
આ કાર્યવાહીને કારણે આ બધી સંસ્થાએ તેની બધી મેડિકલ સીટ ગુમાવવી પડી છે. આ ઉપરાંત, અમરેલી મેડિકલ કોલેજની બેઠક 200થી ઘટાડીને 150 કરવામાં આવી હતી અને ડૉ. કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સુરતની બેઠકો 50 ઘટાડીને 150 કરાઈ હતી.
અપૂરતી હોસ્પિટલમાં સુવિદ્યાનો અભાવ
એનએમસીએ કેટલીક સામાન્ય ખામીઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ફેકલ્ટીનો અભાવ, અપૂરતી માળખાકીય સુવિધાઓ, ખોટી માહિતી સબમિટ કરવી અને અપૂરતી હોસ્પિટલ સુવિધાઓનો સમાવેશ થાય છે. વારંવાર ચેતવણી આપવા છતાં, આ સંસ્થાઓ ખામીઓને દૂર કરવામાં સતત નિષ્ફળ રહી હતી.