ચંડોળાના કાટમાળને લઈ મ્યુનિસિપલ તંત્રએ કર્યો મોટો નિર્ણય

અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવમાં 12 હજાર નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મકાનોના કાટમાળને હટાવી તળાવ ઊંડું અને ડેવલપ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરરોજ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તંત્રએ મોટો નિર્ણય કર્યો હતો. જે મુજબ ડિમોલિશન દરમિયાન નીકળેલો વેસ્ટ જેમકે ઈંટ, પથ્થર સહિતની વસ્તુઓ મફતમાં સ્વખર્ચે પોતાના વાહનો મુકીને લઈ જઈ શકશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, જે લોકો, નાગરિકો, સંસ્થાઓ, બિલ્ડરો પોતાના સ્વખર્ચે વાહનો મુકીને કાટમાળ લઈ જવા માંગતા હોય તેમણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનેટરી ઈન્સ્પેક્ટરનો સંપર્ક કરવાનો રહેશે. ઉપરાંત વાહનોના નંબર અને તેની વિગત પણ આપવાની રહેશે. હાલ 70થી વધુ ટ્રક મુકીને તળાવને ઊંડું કરવામાં આવી રહ્યું છે. રોજનો 2000 ટનથી વધુ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે પરંતુ હજી પણ 20,000 ટનથી વધુ ડિમોલિશન કન્સ્ટ્રક્શન વેસ્ટ દૂર કરવાનો બાકી હોવાથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આપણ વાંચો: વડોદરા બાદ અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત
ઉલ્લેખનીય છે કે શહેરના ચંડોળા વિસ્તારમાં બે તબક્કામાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ટન કન્સ્ટ્રક્શન વેસ્ટનો કાટમાળ એકત્રિત થયો હતો. પ્રથમ તબક્કામાં 4,000થી વધુ નાના-મોટા કાચા પાકા મકાનોને તોડવામાં આવ્યા હતા. જેના કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જે અંતર્ગત 20000 ટનથી વધુ કાટમાળ અત્યારે ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યો છે.