ગુજરાતમાં છેલ્લા 100 કલાકમાં 200થી વધુ ગેરકાયદે ઘૂસણખોરો ઝડપાયા, સુરતમાંથી 119ની અટકાયત

અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યમાં ઘૂસણખોરી કરી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા માટે બે મહિનામાં બીજીવાર ઓપરેશન હાથ ધર્યું છે. સુરત, ભરૂચ સહિતના જિલ્લામાં તપાસ કરી 100 કલાકમાં જ 200 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે, જેઓ અલગ અલગ સમયે સુરત સહિતનાં શહેરોમાં આવ્યા હતા, જેમાંના કેટલાક લોકો પાસેથી ભારતના બોગસ ડોક્યુમેન્ટ પણ મળ્યા છે. સુરતમાં હાલ 119 જેટલા ઘૂસણખોરો મળી આવતાં તેમનું જોઈન્ટ ઈન્ટ્રોગેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યાર બાદ ડિપોર્ટની કાર્યવાહી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુરત પોલીસ 200 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડી ડિપોર્ટ કરી ચૂકી છે.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે આ ઓપરેશનને અત્યંત ગંભીરતાથી લીધું છે અને એને સઘન બનાવવામાં આવ્યું છે. તેમણે વિગતવાર આંકડા આપતાં જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 36 કલાકમાં 119, સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા 9 અને ભરૂચ જિલ્લામાંથી 46 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે. સંઘવીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવા બાંગ્લાદેશીઓને ઓળખી કાઢવા અને તેમને ભારતીય ભૂમિ પરથી દૂર કરવા માટે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દેશની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અત્યંત આવશ્યક છે.
સુરત જેસીપી ક્રાઈમ રાઘવેન્દ્ર વત્સ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં આ ઓપરેશનની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 48 કલાકની અંદર સુરત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા શહેરના ચોક, ભેસ્તાન, સચિન, ઉન જેવા વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામે 119 બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરાયેલા કેટલાક લોકોએ ભારતીય નાગરિકતાના બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આ બોગસ ડોક્યુમેન્ટ કોના દ્વારા બનાવવામાં આવ્યા છે અને આ નેટવર્કમાં કોણ-કોણ સામેલ છે એ દિશામાં પણ ગહન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.જેસીપી વત્સએ વધુમાં જણાવ્યું હતું કે ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓની સંપૂર્ણ બાયોમેટ્રિક એન્ટ્રી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…160 બાંગ્લાદેશીને પ્રત્યર્પણ માટે લઈજતા પોલીસ કાફલાના વાહનોને અકસ્માત