રથયાત્રામાં હાથીઓના બેકાબૂ થવા મુદ્દે મહંતની સ્પષ્ટતા: મારવાનો ઉદ્દેશ નહોતો પણ…

અમદાવાદઃ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ગજરાજ ખાડીયા ગેટ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ત્રણ હાથી બેકાબૂ બનતા રથયાત્રા જોવા પહોંચેલા ભાવિક ભકતોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ભારે ઘોંઘાટ સાથે વાગતા ડી. જે. અને સિસોટીઓના અવાજથી ભડકેલા હાથી બેરિકેડ તોડી ધસી ગયા હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. 27 જૂનના યોજાયેલી રથયાત્રા દરમિયાન હાથીઓ પૈકી એક હાથી વિફર્યો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટના અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ સ્પષ્ટતા કરી છે.
હાથીને માર મારવા અંગેની સ્પષ્ટતા
ગજરાજને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો અંગે મહંતે સ્પષ્ટતા કરી હતી કે, “ગજરાજને મારવાનો કોઈ ઉદ્દેશ્ય ન હતો. ગજરાજનું સ્થાન બદલાયું હતું જેના કારણે તે અવાજ કરી રહ્યો હતો. મહાવતે ડરીને તેને શાંત કરવા દંડાનો ઉપયોગ કર્યો હતો. ગજરાજને શાંત કરવા વિવિધ તકનીકો હોય છે અને મહાવત જાણે છે કે ગજરાજને કેવી રીતે તાલીમ આપી શકાય. આ કોઈ મારવાનો ઉદ્દેશ નથી.”
‘અમારો કોઈ ગજરાજ વનતારા નથી મોકલ્યો
હાથીને વનતારા મોકલવા અંગેના સમાચારો પર પ્રતિક્રિયા આપતા મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે અમારો કોઈ ગજરાજ વનતારા નથી મોકલવામાં આવ્યો. વનતારાની ટીમ અહીં આવી હતી અને તપાસ કરીને જતી રહી છે. ટીમે ગજરાજને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડ્યો હતો. ગજરાજ હાલ અમારી પાસે છે અને શાંત છે.
રથયાત્રામાં ભડકેલો હાથી અલગ હતો
મહંત દિલીપદાસજીએ વધુમાં જણાવ્યું હતું કે, “ગજરાજોને રાખવા સરળ નથી. ગજરાજને અમે વર્ષોથી પ્રેમથી રાખીએ છીએ.” તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે રથયાત્રામાં જે હાથી ભડક્યો હતો તે હાલ તેમની પાસે રહેલો હાથી નથી. આ ઘટના બાદ જગન્નાથ મંદિર દ્વારા હાથીઓની સંભાળ અને સુરક્ષા અંગે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.