કોઈનું પ્લેન તો કોઈનું હેલિકોપ્ટર ક્રેશ થયું, દેશમાં અત્યાર સુધી જાણીતી 10 હસ્તીઓના થયા મોત…

અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે. તેમના નિધનથી ભાજપને મોટી ખોટ પડી છે. વિજય રૂપાણી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોય એવા ગુજરાતના બીજા મુખ્ય પ્રધાન છે. 20 સપ્ટેમ્બર 1965ના રોજ રાજ્યના બીજા મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતાનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યું થયું હતું. આ સિવાય દેશમાં એવી અનેક જાણીતી હસ્તીઓ છે, જેમનું પણ વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. આવો તેમના વિશે જાણીએ.

દેશના કુલ 4 મુખ્ય પ્રધાનોનું થયું દુર્ઘટનામાં નિધન
ભારતમાં પરમાણુ કાર્યક્રમના પિતા ગણાતા ડૉ. હોમી ભાભા એર ઈન્ડિયાના બોઈંગ 707-420માં બેસીને જીનીવા જઈ રહ્યા હતા. પરંતુ 24 જાન્યુઆરી 1966ના રોજ જીનીવા એરપોર્ટ ખાતે વિમાન લેન્ડિંગ કરતી વખતે સ્વિસ આપ્લ્સ પર્વતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેથી ભારત દેશે પોતાના આશાસ્પદ વૈજ્ઞાનિક ગુમાવ્યા હતા.

સંજય ગાંધી ભૂતપૂર્વ વડા પ્રધાન ઈંદિરા ગાંધીના પુત્ર હતા. 70ના દાયકામાં તેઓની ગણના કૉંગ્રેસના અગ્રણી નેતાઓમાં થતી હતી. 22 જૂન 1980ના રોજ તેઓ સફદરજંગ એરપોર્ટ પાસે દિલ્હી ફ્લાઈંગ ક્લબનું એક વિમાન ઉડાવી રહ્યા હતા. જેમાં હવાઈ કરતબ કરવાના પ્રયાસમાં તેમણે વિમાનનું નિયંત્રણ ગુમાવ્યું હતું. જેથી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી અને સંજય ગાંધીનું મૃત્યુ થયુ હતુ.

માધવરાવ સિંધિયા પણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તેઓ ચૂંટણી પ્રચાર માટે એક ખાનગી વિમાનમાં ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે જઈ રહ્યા હતા. જેમાં તેમની સાથે જાણીતા ત્રણ મીડિયા હાઉસના પત્રકારો, અંગત સચિવ અને બે પાયલટ હતા. પરંતુ મેનપુરી જિલ્લાના મોટા ગામમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેથી વિમાનમાં સવાર તમામ લોકોનું નિધન થયું હતું.
લોકસભાના સ્પીકર અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગી 3 માર્ચ 2002ના રોજ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમથી હેલિકોપ્ટરમાં આવી રહ્યા હતા. પરંતુ તેમનું હેલિકોપ્ટર કૃષ્ણા જિલ્લાના કૈકાલુર નજીકના તળાવમાં ક્રેશ થયું હતું. જેમાં જીએમસી બાલયોગીનું અવસાન થયું હતું.
22 સપ્ટેમ્બર 2004ના રોજ મેઘાલયના ગ્રામીણ વિકાસ મંત્રી સાયપ્રિયન સંગમા પવન હંસ હેલિકોપ્ટરમાં ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યા હતા. તેમની સાથે અન્ય નવ લોકો પણ હતા. પરંતુ તેમનું હેલિકોપ્ટર શિલોંગથી 20 કિમી દુર બારપાની તળાવ પાસે ક્રેશ થયું હતુ અને તેમનું અવસાન થયું હતું.
સૂર્યવંશમ ફિલ્મની અભિનેત્રીનું પણ થયું હતું પ્લેન ક્રેશ
‘સૂર્યવંશમ’ ફિલ્મની અભિનેત્રી કે એસ સૌમ્યા 17 એપ્રિલ 2004ના રોજ વિમાનમાં બેસીને બેંગલુરૂથી કરીમનગર જઈ રહી હતી. કે એસ સૌમ્યા જે વિમાનમાં હતી તે ક્રેશ થયું હતું. જેથી દક્ષિણ ભારતના ફિલ્મજગતમાં મોટી ખોટ પડી હતી.
ઓપી જિંદાલ અને સુરેન્દ્ર સિંહ: ઉદ્યોગપતિ અને હરિયાણાના મંત્રી ઓમ પ્રકાશ જિંદાલ અને કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહ 31 માર્ચ 2005ના રોજ હેલિકોપ્ટરમાં બેસીને દિલ્હીથી ચંદીગઢ જઈ રહ્યા હતા. તેમનું હેલિકોપ્ટર ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ક્રેશ થયું હતું. જેથી બંને નેતાઓનું અવસાન થયું હતું.
વાય એસ રેડ્ડી (૨૦૦૯): વાયએસઆર તરીકે જાણીતા વાય એસ રાજશેખર રેડ્ડી 2009માં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા. 2 સપ્ટેમ્બર 2009ના રોજ તેઓ બેલ 430 હેલિકોપ્ટરમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે ખરાબ હવામાનને કારણે ગાઢ નલ્લામાલા જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં તેમનું મૃત્યુ થયું હતું.
30 એપ્રિલ 2011ના રોજ અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન દોરજી ખાંડુ અને અન્ય ચાર લોકો સાથે હેલિકોપ્ટરમાં બેસીને તવાંગથી ઇટાનગર જઈ રહ્યા હતા. તેમનું હેલિકોપ્ટર રાજ્યના પશ્ચિમ કામેંગ જિલ્લામાં ક્રેશ થયું હતું.
8 ડિસેમ્બર, 2021ના રોજ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત પોતાની પત્ની અને અન્ય 11 લોકો સાથે હેલિકોપ્ટરમાં બેસીને સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા. પરંતુ તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ હતી. જેથી તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.