સિંહણના રેસ્ક્યુ દરમિયાન મૃત્યુ પામેલા અશરફભાઈને વન પ્રધાને દિલસોજી વ્યક્ત કરી

અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણના રેસ્ક્યુ દરમિયાન કર્મચારી અશરફભાઈ ચૌહાણના મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી હતી.. જેને અત્યંત દુઃખદ ગણાવતા વન અને પર્યાવરણ પ્રધાન અર્જુનભાઈ મોઢવાડિયાએ પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
આ સમગ્ર બનાવની તપાસ ગીર પશ્ચિમ વિભાગના જૂનાગઢના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરને સોંપવામાં આવી હતી. વન અને પર્યાવરણ પ્રધાન અર્જુનભાઈ મોઢવાડિયાએ મૃત્યુ પામનાર કર્મચારી અશરફભાઈ અલીભાઈ ચૌહાણના પરિવારને મળવાપાત્ર નાણાકીય સહાય ઉપરાંત મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચુકવાય તે દરખાસ્ત કરવાના વન વિભાગને આદેશ આપ્યા હતા.
આ અંગે વધુ વિગતો આપતા મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં સિંહણ દ્વારા એક બાળક પર હુમલો કરી મૃત્યુ નિપજાવવાની દુઃખદ ઘટના પ્રકાશમાં આવી હતી. આ ગામ ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢ હેઠળની વિસાવદર રેન્જની ગ્રાસ રાઉન્ડની માણંદીયા બીટના કાર્યક્ષેત્રમાં આવે છે.
આપણ વાચો: ભંડારામાં ઘાયલ વાઘ કેનાલમાં ફસાયો: વન વિભાગે આ રીતે કર્યું રેસ્ક્યુ કર્યું, જુઓ વીડિયો
આ નાની મોણપરી ગામના ખેડૂત ખાતેદાર પરસોત્તમભાઈ વાલજીભાઈ વઘાસીયાના ખેતરમાં મજુરી કામ કરતા શૈલેષભાઈ સોમાભાઈ પારગીના પુત્ર શિવમ શૈલેષભાઈ પારગી (ઉ.વ.૪) વાડીએ આવેલ મકાનની બાજુમાં રમતો હતો, તે દરમિયાન સવારે ૧૦-૩૦ કલાકે અચાનક વન્યપ્રાણી સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સિંહણ બાળકને તુવેરના પાકમાં ઢસડી ગયેલ જે દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું.
જેને લઈને આ સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હુમલો કરનાર સિંહણ માદાને પકડીને સ્થળાંતર કરવાની કાર્યવાહી વિસાવદર રેન્જના સ્ટાફ તથા વેટનરી ઓફિસર, સાસણની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી.
જે તુવેરના ખેતરમાં સિંહણને પકડવા માટે ટ્રેન્કવીલ્કાઈઝ્સ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે ટ્રેંકવીલાઈઝર ગનમાંથી છોડવામાં આવેલ ડાર્ટ તુવેરના છોડમાં ફસાઈને દિશા બદલતા રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલ અશરફભાઈ અલીભાઈ ચૌહાણ (30)ના ડાબા હાથમાં કોણીથી ઉપરના ભાગે વાગી હતી.
આપણ વાચો: નખત્રાણા પંથકમાં જાળીમાં ફસાયેલા બાળ દીપડાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું
જેથી તેમને સારવાર માટે પ્રથમ વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે સરકારી વાહનમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ૧૦૮ મારફતે વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા, જ્યાં મંગળવારે વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું દુઃખદ મૃત્યુ થયું હતું.
મૃતક અશરફભાઈ અલીભાઈ ચૌહાણ ગીર પશ્ચિમ વિભાગ, જુનાગઢ હેઠળની વિસાવદર રેન્જમાં છેલ્લા બે વર્ષથી વન્યપ્રાણી અવલોકન, રેસ્ક્યુ સહિતની કામગીરી માટે ટ્રેકર તરીકે ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અંતર્ગત કાર્યરત હતા. તેમના પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.



