ચાંદ કે પાર ચલોઃ બે વર્ષમાં ભારત ચંદ્ર પર પગ મૂકશે, જાણો કોણે કહ્યું આમ…

અમદાવાદઃ ઈસરોના ચેરમેન વી નારાયણને સોમવારે ગુજરાત યુનિવર્સિટીના 74માં પદવીદાન સમારોહમાં જણાવ્યું હતું કે ભારત 2027 સુધીમાં એક એવું અવકાશયાન વિકસાવવાનું લક્ષ્ય રાખે છે જે માનવીઓને સુરક્ષિત રીતે ચંદ્ર પર ઉતારી શકે અને તેમને પૃથ્વી પર પાછા લાવી શકે. આ મહત્વાકાંક્ષી લક્ષ્ય માટે, ગગનયાન મિશન પહેલાથી જ શરૂ થઈ ગયું છે અને મંગળ મિશનની તૈયારીઓ પણ ચાલી રહી છે અને 2028 સુધીમાં તે આગળ વધવાની અપેક્ષા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ભારતની અવકાશ યાત્રાના મુખ્ય સીમાચિહ્નો વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૧૯૬૨ થી, ભારતે વિવિધ હેતુઓ માટે ૧૩૩ ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. ગયા મહિને એલવીએમ-3 બાહુબલી 164 કિલોગ્રામ વજન ધરાવતો અત્યાર સુધીનો લોન્ચ કરાયેલો સૌથી ભારે ઉપગ્રહ હતો.

ઇસરોના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ માટે મંજૂરી આપવામાં આવી છે. તેમણે ભાર મૂક્યો કે ભારતે અત્યાર સુધીમાં ૩૪ દેશો માટે ૪૩૪ ઉપગ્રહો લોન્ચ કર્યા છે. ભારત એક જ દિવસમાં ૧૦૪ ઉપગ્રહો લોન્ચ કરવાનો વિશ્વ રેકોર્ડ પણ ધરાવે છે.
ભવિષ્યના મિશન વિશે બોલતા, નારાયણને કહ્યું કે ભારત હવે સૂર્યનો અભ્યાસ કરતા રાષ્ટ્રોના એક ગ્રુપ સાથે જોડાયું છે અને ટૂંક સમયમાં આદિત્ય મિશન લોન્ચ કરશે.તેમણે ગુગલની મેપિંગ સેવાઓની જેમ ‘ભુવન’ પોર્ટલ શરૂ કરવાની યોજનાની પણ જાહેરાત કરી હતી. અવકાશ ટેકનોલોજીના સામાજિક પ્રભાવ પર ભાર મૂકતા, તેમણે કહ્યું હતું કે ભારતીય ઉપગ્રહોએ ઘણા લોકોના જીવ બચાવવામાં મદદ કરી છે.
ટેલિકોમ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા, 8,700 ટ્રેનોની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે, અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ માછીમારીના ક્ષેત્રોને ઓળખવા માટે પણ થાય છે. હાલમાં, ચાર જીપીએસ નેવિગેશન ઉપગ્રહો કાર્યરત છે, અને ટૂંક સમયમાં ત્રણ વધુ લોન્ચ કરવામાં આવશે. નારાયણને ઉમેર્યું કે જ્યારે ઉપગ્રહના ઘટકોનું ઉત્પાદન અગાઉ સરકારી કંપનીઓ દ્વારા સંભાળવામાં આવતું હતું, ત્યારે હવે આ જવાબદારી ત્રણ ખાનગી અને સ્ટાર્ટ-અપ કંપનીઓને આપવામાં આવી છે.
આ પણ વાંચો…અમેરિકાને ટક્કર આપવા ‘ડ્રેગન’ સજ્જઃ ચીન 2030માં ચંદ્ર પર માણસ મોકલશે!



