Top Newsઅમદાવાદ

ભાજપના દિગ્ગજ નેતાના બનેવી IPS અધિકારીને તાત્કાલિક ગુજરાત કેડરમાં પાછા લવાયા, DGP બનાવવાનો પ્લાન ?

નવી દિલ્હી/અમદાવાદઃ સીમા સુરક્ષા દળ (BSF) ના અધિક મહાનિર્દેશક શમશેર સિંઘને તેમની મૂળ કેડરમાં સમયપૂર્વે પરત મોકલવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. 1991ની બેચના આઈપીએસ અધિકારી શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફર્યા છે. શમશેર સિંઘ ગુજરાત પરત ફરતા તેઓ રાજ્યના નવા ડીજીપી બની શકે છે તેવી અટકળો વહેતી થઈ છે. તેમના રિટાયરમેન્ટ તારીકે 31 માર્ચ છે.

શમશેર સિંઘ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન સાહિબ સિંહ વર્માના જમાઈ અને દિલ્હી ભાજપના પ્રવેશ વર્મા બનેવી છે. પ્રવેશ વર્મા હાલ દિલ્હી સરકારમાં પ્રધાન છે. પ્રવેશ વર્માએ 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને હરાવ્યા હતા. 2014 અને 2019માં તેઓ દિલ્હી વેસ્ટના સાંસદ તરીકે ચૂંટાયા હતા.

ગુજરાતમાં 1990ની બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાય 31 ડિસેમ્બર, 2025ના રોજ ડીજીપી પદેથી નિવૃત્ત થયા હતા. જે બાદ ગુજરાત સરકારે 1992ની બેચના આઈપીએસ અધિકારી એલ એન રાવને ઈન્ચાર્જ ડીજીપી બનાવ્યા હતા. જોકે હાલના ઘટનાક્રમથી શમશેર સિંહને ડીજીપી બનાવવાની અટકળો વહેતી થઈ છે. જાણકારો મુજબ, સરકારે શમશેર સિંહને ઈન્ચાર્જ ડીજીપી બનાવી શકે છે.

ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યોરિટી ફોર્સના એડિશનલ ડાયરેકટર જનરલ અને 1991 બેચના ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર ડો. શમશેર સિંઘને તાત્કાલિક અસરથી કેન્દ્રમાંથી પરત ફરવાનો આદેશ કર્યો છે. ગૃહ મંત્રાલયના ઓફિસ મેમોરેન્ડમ મુજબ, તેમની ઓરિજનલ કેડેરમાં પરત મોકલવામાં આવ્યા છે અને રિલીવ કર્યાની તારીખ પણ જણાવી છે.

ડૉ. શમશેર સિંઘ ગયા વર્ષે જાન્યુઆરી 2025માં એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) અને ગુજરાતના DGP (કાયદો અને વ્યવસ્થા)ની જવાબદારી છોડીને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ગયા હતા. તે સમયે તેમની નિમણૂક BSFમાં ADG તરીકે કરવામાં આવી હતી. તેમનો કાર્યકાળ માર્ચ 2026 માં તેમની નિવૃત્તિ સુધીનો હતો, પરંતુ તેમને તે પહેલા જ ગુજરાત પરત મોકલવામાં આવ્યા હોવાથી તેઓ DGP બને તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શમશેર સિંઘની છબી ખૂબ જ સારી છે અને તેઓ ગુજરાતમાં અગાઉ પણ અનેક મોટી જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી શમશેર સિંઘ મૂળ હરિયાણાના જીંદ જિલ્લાના વતની છે. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી દિલ્હીથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું હતું. તેઓ વર્ષ 1991માં ગુજરાત કેડરમાં આઈપીએસ અધિકારી તરીકે જોડાયા હતા.

આ પણ વાંચો…વડોદરાના પોલીસ કમિશનર સહિત 14 IPS અધિકારીને અપાયાં પ્રમોશન, કોને ક્યા ગ્રેડમાં મૂકાયા ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button