અમદાવાદમાંથી IPL ફાઈનલની બ્લેકમાં ટિકિટ વેચતો યુવક પકડાયો…

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાશે. જીતનારી ટીમ ફાઈનલમાં આરસીબી સામે ટકરાશે. અમદાવાદમાં 3 જૂને આઈપીએલ 2025ની ફાઈનલ રમાશે. ફાઈનલ મુકાબલો નીહાળવા સમગ્ર દેશમાં ક્રિકેટ ફેંસ આવશે.
આઈપીએલ ફાઈનલની મોટાભાગની ટિકિટ વેચાઈ ગઈ છે. આ દરમિયાન અમદાવાદમાં એક યુવક ટિકિટના બ્લેક કરતો ઝડપાયો હતો. યુવક પાસેથી 1500 રૂપિયાના ભાવની 6 ટિકિટ મળી આવી હતી. યુવક એક ટિકિટ 5000 રૂપિયામાં વેચવાનો હતો. પરંતુ તે પહેલા જ પોલીસની ઝપટે ચડ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે પાલડી મહાલક્ષ્મી ચાર રસ્તા પાસેથી 25 વર્ષીય યુવકને ઝડપ્યો હતો. તેની પાસેથી આઈપીએલ 2025ની ફાઈનલની 1500 રૂપિયાની 6 ટિકિટ મળી હતી. યુવકે એક ટિકિટ 5000 રૂપિયામાં વેચવાનો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ક્રિકેટજગતનું સૌથી મોટું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અગાઉ સરદાર પટેલ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું. અમદાવાદના આ સ્ટેડિયમમાં કુલ 1,00,000થી પણ વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે. અમદાવાદમાં આઇપીએલની 40 મેચ રમાઈ છે જેમાંથી 21 મેચમાં લક્ષ્યાંક ચેઝ કરનારી ટીમનો અને 19 મેચમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમનો વિજય થયો છે. આ મેદાન પર આઇપીએલમાં સૌથી મોટો 243 રનનો ટીમ-સ્કોર પંજાબ કિંગ્સના નામે છે. વર્તમાન સીઝનમાં ગુજરાત ટાઇટન્સ સામે પંજાબે 243 રન કર્યા હતા. આ જ સ્થળે ગુજરાત ટાઇટન્સની ટીમ 204 રનનો લક્ષ્યાંક ચેઝ કરી ચૂકી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટ્સમેનોને વધુ મદદકર્તા રહી છે. શરૂઆતમાં ફાસ્ટ બોલર્સ નવા બોલથી ઘાતક સાબિત થઈ શકે છે. જોકે બોલ જૂનો થાય એમ બોલર્સ પર બેટ્સમેનો હાવી થતા જાય છે. આ વખતની આઇપીએલમાં પાંચ મેચ રમાઈ છે જેમાં છ ઇનિંગ્સમાં 200થી વધુ ટીમ-સ્કોર નોંધાયો છે. આ વખતે પાંચમાંથી ચાર મેચમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમ જીતી છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અગાઉ બે વાર ફાઇનલ રમાઈ છે. 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે ડેબ્યૂના એ વર્ષમાં રાજસ્થાનને સાત વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. 2023ની ફાઇનલ પણ આ જ સ્થળે રમાઈ હતી જેમાં ગુજરાતને પાંચ વિકેટે હરાવીને ચેન્નઈએ પાંચમું ટાઇટલ જીત્યું હતું.