અમદાવાદની રથયાત્રાનો રસપ્રદ કિસ્સો, જ્યારે ગજરાજે પોલીસ વાનને સૂંઢથી ફેંકી દીધી હતી…

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી છે. જેમાં અત્યાર સુધી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થઇ રહી છે. જોકે, આજે રથયાત્રા દરમિયાન અમદાવાદના ખાડિયા નજીક ડી.જે.ના કારણે ગજરાજ બેકાબૂ થયા હતાં. જેમાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. આ દરમિયાન ભૂતકાળમાં રથયાત્રા દરમિયાન ગજરાજના અનેક રસપ્રદ કિસ્સાઓ પણ ચર્ચાનો વિષય બન્યા છે.
આ હાથીને સરજૂ મહારાજને નામે ઓળખવામાં આવે છે
જેમાં અમદાવાદમાં વર્ષમાં 1985માં ભારે કોમી તોફાનો વચ્ચે રથયાત્રા યોજવામાં આવી હતી. ત્યારે મંદિરની બહાર પોલીસે આડસ મૂકી દીધી હતી ત્યારે સરજૂપ્રસાદ નામના હાથીએ પોલીસ વાનને સૂંઢથી ફેંકી દીધી હતી. તેમજ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેના લીધે આ હાથીને સરજૂ મહારાજને નામે ઓળખવામાં આવે છે. તેમજ તેના મૃત્યુ બાદ તેની સમાધિ પણ બનાવવામાં આવી છે. તેમજ રથયાત્રાનું પ્રથમ નિમંત્રણ સરજૂ મહારાજની સમાધિ પર મૂકવામાં આવે છે.
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વર્ષ 1985માં સરકારે રથયાત્રા નીકાળવા માટે મંજૂરી નહોતી આપી.પરંતુ શ્રદ્ધાળુઓ આ પરંપરાને તોડવા માંગતા નહોતા. આ ઉપરાંત જગન્નાથ મંદિરની ચારેય બાજુ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ સવારે મંગળા આરતી બાદ રથયાત્રાની પ્રસ્થાનની વિધિ પછી હાથીની સવારી આગળ નીકળી હતી.
કરફ્યૂ અને તોફાનના માહોલમાં રથયાત્રા નીકળી
આ રથયાત્રા દરમિયાન સરજુપ્રસાદ નામનો હાથી આગળ આવ્યો અને મંદિરના દરવાજા સામે આડશ કરીને ઉભી રાખવામાં આવેલી પોલીસ વાનને તેની સૂંઢથી ધક્કો મારીને ફેકી દીધી હતી. સરજૂપ્રસાદ નામના હાથી બાદ ભક્તોએ પણ બેરિકેડ તોડીને આગળ વધ્યા હતા. તેમજ અમદાવાદમાં કરફ્યૂ અને તોફાન ચાલી રહ્યા હતા ત્યારે આવા માહોલમાં પણ રથયાત્રા નીકળી હતી.