અમદાવાદ

અમદાવાદની બેબી અરિહા પાછી આવશે? શું કહ્યું ભારત સરકારે

અમદાવાદઃ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેની મુલાકાતને લીધે અમદાવાદના પરિવારની અરિહા શાહનો મુદ્દો ફરી પ્રકાશમાં આવ્યો હતો. આ દરમિયાન જર્મનીના ચાન્સેલરને કહીને મોદીજી ગુજરાતની દીકરી અરિહા શાહને ન્યાય અપાવે તેવી માગણી ગુજરાતથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી હતી.

શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે અરિહા શાહ જયારે માત્ર નવ મહિનાની હતી ત્યારે પરિવાર પાસેથી તેને લઈને જર્મની સરકારે ફોસ્ટર કેર સરકારી પાલક દેખભાળ સેન્ટરમાં રાખી હતી. અરિહા શાહને જર્મનીના પાલક સેન્ટરમાંથી મુક્ત કરાવી તેના માતાપિતાને સુપ્રત કરવામાં આવે તેવી માગણી તેમણે કરી હતી.

આ મામલે વિદેશ સચિવ વિક્રમ કેસરીએ વાત કરતા જણાવ્યું હતું કે આ સંવેદનશીલ મુદ્દો છે અને ભારત સરકાર જર્મન સરકાર સાથે આ મામલે સતત સંવાદ સાધી રહી છે. આ મુદ્દો કાનૂની હોવાની સાથે તેને માનવતાના ધોરણે ધ્યાનમાં લેવો જોઈએ, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરિવારની ભાવનાઓ અમે સમજીએ છીએ અને દરેક સ્તરે પ્રયત્નો કરી રહ્યા છીએ. બેબી એરિહાની સંભાળ ભારતીય માહોલમાં થાય તેવા પ્રયત્નો સરકાર કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતુ. પીએમ મોદીએ પણ આ અંગે ચાન્સેલર સાથે વાત કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

કોણ છે અરિહા શાહ અને ધારા શાહ

મૂળ અમદાવાદના ઘાટલોડિયાના રહેવાસી ધારા શાહ 2018માં જર્મની ગયા હતા. ત્યારે જર્મનીમાં તેમના સાસુથી અજાણતા બાળકી (અરીહા)ને ઈજા પહોંચી હતી. બાળકીને ઈજા પહોંચતા તેઓ બાળકીને હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પહોંચતા બાળકીનો કબજો જર્મન ચાઈલ્ડ સર્વિસીસે લઈ લીધો હતો અને ધારા શાહ અને તેમના પરિવાર પર સેક્યુઅલ અબ્યુસનો ચાર્જ લગાવ્યો હતો. જોકે, પુરાવા આપ્યા બાદ સેક્યુઅલ અબ્યુસનો ચાર્જિસ હટાવવામાં આવ્યો હતો.

પરંતુ હજી પણ બાળકીનો કબજો જર્મન ચાઈલ્ડ સર્વિસિસ દ્વારા રાખવામાં આવ્યો છે. આ અંગે તેમણે ભારત સરકારના સામાજિક કલ્યાણ મંત્રાલયને પણ રજૂઆત કરી છે. બાળકીનો પાસપોર્ટ પણ હાલ જર્મન સરકારના કબજામાં છે, જેથી મહિલાને એ ચિંતા પણ સતાવી રહી છે કે જો કાયદાકીય લડાઈ લાંબી ચાલી તો બાળકી ભારતીય કલ્ચર સાથેનો સંપર્ક ગુમાવી બેસશે. બાળકીનો કબજો પરત મેળવવા માતા ધારા શાહે અનેક જગ્યાએ રજૂઆત કરી છે. તેમ છતાં બાળકીનો કબજો પરત મળ્યો નથી. કાયદાની ગૂંચવણ એટલી જટીલ છે કે સપ્ટેમ્બર 2021થી પોતાની માસૂમનો કબ્જો નથી મેળવી શક્યા. જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે અમદાવાદ અને ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે બાળકીનો કબ્જો તેના માતા-પિતાને મળે તેવી માંગ ઉઠવા પામી છે.

આપણ વાંચો:  સુરત ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: રિયલ લાઈફ ‘રહમાન ડકૈત’ ઝડપાયો, જાણો કોણ છે આ જાબાંઝ ઓફિસર?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button