ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: ધો. 9 થી 12ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના સિદ્ધાંતોનો સમાવેશ | મુંબઈ સમાચાર

ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: ધો. 9 થી 12ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના સિદ્ધાંતોનો સમાવેશ

અમદાવાદ: આ શૈક્ષણિક વર્ષથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12 ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્ય આધારિત પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં બે-બે નવા પ્રકરણો ઉમેર્યા છે.

આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનો છે, જે ભારતીય પરંપરાગત જ્ઞાન પ્રણાલી સાથે શિક્ષણને જોડવાના રાજ્યના પ્રયાસોનો એક ભાગ છે.

આપણ વાંચો: ડમી શાળાઓ સામે શિક્ષણ બોર્ડની લાલ આંખ; આજથી DEO ડમી વિદ્યાર્થીઓ શોધશે…

ગુજરાત સરકારે કેન્દ્ર દ્વારા ઘડવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના માળખા હેઠળ આ નિર્ણય લીધો હતો. ગયા વર્ષે, સરકારે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતા પર એક પૂરક પાઠ્યપુસ્તક પણ રજૂ કર્યું હતું. જેનો હેતુ વિદ્યાર્થીઓને ભારતની “સમૃદ્ધ, વૈવિધ્યસભર અને પ્રાચીન સંસ્કૃતિ” સાથે જોડવાનો હતો.

સૂત્રોએ જણાવ્યું કે, ધોરણ 9-12 માટેના પ્રકરણોનો ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં સીધો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ માટે પૂરક પુસ્તિકાઓ તૈયાર કરવામાં આવી છે.

આપણ વાંચો: GSHSEB Election: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી, બે બેઠકો પર જામશે પ્રતિષ્ઠાનો જંગ

હિન્દી પ્રથમ ભાષામાં, નવા પ્રકરણોમાં ધોરણ 9 માટે માર્ગદર્શિકા ગીતા અને ભગવદ્ ગીતા ઔર મૈં, ધોરણ 10 માટે સમર્પણ અને દેશભક્તિ કી સંજીવની; ધોરણ 11 માટે પરમ સુખ કે સોપાન અને ત્રિવેણી, ધોરણ 12 માટે વૈશ્વિક ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ભારતીય શાશ્વત મૂલ્ય ઔર ગીતાનો સમાવેશ થાય છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, આ સામગ્રી, સુધારેલી પરીક્ષા બ્લુપ્રિન્ટ અને અભ્યાસક્રમ યોજના સાથે શાળાઓમાં વિતરિત કરવામાં આવી છે. ધોરણ 9 થી 12 ની નવી પરીક્ષા પદ્ધતિમાં હવે આ સામગ્રી પર આધારિત 3-4 ગુણના પ્રશ્નોનો સમાવેશ થશે.

અભ્યાસક્રમમાં અન્ય ફેરફારોમાં, કૃષિને પ્રોત્સાહન આપવા માટે ધોરણ 12 ના અર્થશાસ્ત્રના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી પર એક પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ધોરણ 9 થી 12 માટેના કમ્પ્યુટર અભ્યાસક્રમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. નવી પરીક્ષા પદ્ધતિ તાત્કાલિક લાગુ કરવામાં આવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયો સહિતના સંપૂર્ણ નવા પાઠ્યપુસ્તકો આવતા શૈક્ષણિક વર્ષથી ધોરણ 9 અને 11માં રજૂ કરવામાં આવશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button