પોતાની જગ્યાએ બીજાને બેસાડ્યા તો હંમેશા માટે જગ્યા ગુમાવશો’: ભદ્રમાં પાથરણાવાળાને કોર્ટની ટકોર

અમદાવાદ: શહેરના ભદ્ર વિસ્તારમાં સર્જાતિ ટ્રાફિકની સમસ્યા બાદ તંત્ર દ્વારા પાથરણાવાળાઓને ભદ્ર પરિસરમાંથી હટાવીને અન્ય સ્થળે માર્કેટની કામચલાઉ જગ્યા આપવામાં આવી હતી. જો કે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વની ટકોર કરી છે. કોર્ટે સેવા દ્વારા પ્રમાણિત ફેરિયાઓને ઉદ્દેશીને કરેલી ટકોરમાં કહ્યું હતું કે જો પ્રમાણિત ફેરિયાઓ તેમના સ્થાને બીજાને બેસવા દેશે તો ફરીથી આ જગ્યા તેમને ફાળવવામાં આવશે નહિ. કોર્ટે બેની બબાલમાં ત્રીજો ન ફાવે તે બાબતે ધ્યાન રાખવા સૂચન કર્યું હતું.
આ મામલે કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ખખડાવ્યું હતું. કોર્ટે કોર્પોરેશનને ઠપકો આપતા કહ્યું હતું કે તમે જ પ્રમાણિત કરેલા ફેરિયાઓને ફેંકી શકો નહિ. શેરી ફેરિયાઓને પ્રમોટ કરવાનું કામ તમારું જ છે, નવા વેન્ડિંગ ઝોન બનાવવાની કામગીરી પણ તમારે જ કરવાની છે. આ સાથે જ પગભગ બનીને કામ કરતી મહિલાઓને અન્યાય ન થાય તે જોવા પણ કોર્ટે કોર્પોરેશનને આદેશ આપ્યો હતો. આ પ્લાનને મંજૂરી મળશે ત્યારબાદ કોર્પોરેશન તેમને જગ્યા ફાળવશે. સેવા તરફથી મળેલા નામો પૈકી કોર્પોરેશને 611 જેટલા પાથરણાવાળાઓની ઓળખ કરીને વૈકલ્પિક જગ્યા આપવાની યોજના બનાવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે 611 પાથરણાવાળાઓની યાદી બનાવી છે, તેમાંથી 372 પાથરણાવાળાઓને સેવા દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે. સેવા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓએ જે પાથરણાવાળાઓને પ્રમાણિત કર્યા છે તેઓને માત્ર સર્ટિફિકેટ આપવાના બાકી છે. આ મામલે કોર્ટે અમદાવાદ મનપાનો ઉધડો લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે તમારે દર પાંચ વર્ષે રીસર્વે કરાવવાનો હતો, પણ તમે 2019 બાદ નથી કરાવ્યો, આમ ભૂલ તમે કરી છે. કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું હતું કે હવે વેન્ડરને ઝોનમાંથી બહાર કાઢવાની બીજી ભૂલ ન કરી શકો.
આપણ વાંચો: SIR બાદની જાહેર થશે ગુજરાતની નવી મતદાર યાદી: 73 લાખ નામો કમી થયા, કુલ મતદારો હવે 4.35 કરોડ



