અમદાવાદ

ગુજરાત SIR: રાજ્યભરમાંથી કુલ 14.70 લાખથી વધુ ફોર્મ્સ મળ્યા, અમદાવાદ મોખરે

અમદાવાદ: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં ગત 27 ઓક્ટોબર 2025થી શરૂ કરવામાં આવેલી ‘મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ’ (SIR) આગળ વધી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં નાગરિકોને પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો.

અગાઉ આ પ્રક્રિયા માટે 18 જાન્યુઆરી 2026ની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી, જેને બાદમાં ચૂંટણી પંચ દ્વારા વધારીને 30 જાન્યુઆરી 2026 કરવામાં આવી હતી, જેથી વધુમાં વધુ પાત્રતા ધરાવતા નાગરિકો આ પ્રક્રિયામાં જોડાઈ શકે.

આ ઝુંબેશ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી વહીવટી તંત્રને કુલ 14,70,125 ફોર્મ્સ પ્રાપ્ત થયા છે. આ આંકડાકીય માહિતી પર નજર કરીએ તો, નવા મતદાર તરીકે નામ નોંધણી માટેના ફોર્મ નં. 6 ની સંખ્યા 7,25,920 છે, જ્યારે મતદાર યાદીમાંથી નામ રદ્દ કરવા માટેના ફોર્મ નં. 7 ની સંખ્યા 1,83,235 નોંધાઈ છે.

આ ઉપરાંત, નામમાં સુધારો કરવા કે સ્થળાંતર માટેના ફોર્મ નં. 8 માટે કુલ 5,60,970 અરજીઓ મળી છે. જિલ્લાવાર આંકડાઓમાં અમદાવાદ 2,16,084 ફોર્મ્સ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે, જ્યારે સુરત (1,31,153) અને આણંદ (78,790) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે.

રાજ્યભરના મતદાર નોંધણી અધિકારીઓ (ERO) અને સહાયક મતદાર નોંધણી અધિકારીઓ (AERO) દ્વારા આ તમામ પ્રાપ્ત ફોર્મ્સની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં તમામ અરજીઓનો નિકાલ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેથી એક શુદ્ધ અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરી શકાય.

જે નાગરિકો કોઈ કારણસર આ ખાસ ઝુંબેશ દરમિયાન ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય, તેમને ચિંતા કરવાની જરૂર નથી. ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ખાસ ઝુંબેશ પૂર્ણ થયા બાદ પણ ‘સતત સુધારણા’ની પ્રક્રિયા ચાલુ રહેશે. આ અંતર્ગત નાગરિકો આગામી સમયમાં પણ ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારો કરવા કે નામ રદ્દ કરાવવા જેવી કાર્યવાહી કરાવી શકશે.

આ પણ વાંચો…મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો, SIR અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button