ગુજરાતમાં સિઝનનો સરેરાશ 90 ટકાથી વધુ વરસાદ, 16 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સહિત લો પ્રેસર સક્રિય થવાથી 4 અને 5 સપ્ટેમ્બરે રાજયમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગ દ્વારા 4 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી હતી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ 89.66 ટકા ભરાયેલો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 80.58 ટકા જળસંગ્રહ છે.
રાજ્યમાં 108 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ડેમ 100 ટકા ભરાયેલા છે. આ સિવાય 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા અને 18 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.
140 રોડ રસ્તા બંધ
રાજ્યમાં ખેડામાં 12, આણંદમાં 3, અરવલ્લીમાં 10, સાબરકાંઠામાં 1, વડોદરામાં 5, છોટાઉદેપુરમાં 11, નર્મદામાં 1, મહિસાગરમાં 2, પંચમહાલમાં 11, દાહોદમાં 7, સુરતમાં 15, નવસારીમાં 8, વલસાડમાં 7, રાજકોટમાં 1, જામનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, ભાવનગરમાં 6, જૂનાગઢમાં 10, અમરેલીમાં 3, પોરબંદમાં 25 મળી કુલ 140 રોડ રસ્તા બંધ છે.
આ પણ વાંચો…ગુજરાતમાં વરસાદ ખેંચાયોઃ 33 ટકા ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ