
અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારે ૫૦૦ મેગાવોટનો ઓફશોર વિન્ડ પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે ૧૦ જુલાઇના રોજ વિનંતીપત્ર આપવામાં આવ્યો હતો. સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ‘વાયેબીલિટી ગેર ફંડિંગ યોજના’ હેઠળ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ ઓફશોર વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં પસંદ થયેલા ડેવલપરને વિનંતીપત્ર ઇસ્યૂ કરવામાં આવ્યો છે. હવે સોલર કોર્પોરેશન અને પસંદ થયેલા ડેવલપર દ્વારા કરાર પર સહી સિક્કા થયા પછી છ વર્ષમાં આ પ્રોજેક્ટ કાર્યરત થવાની ધારણા છે, તેમ કેન્દ્રીય ઊર્જા રાજ્યપ્રધાન શ્રીપાદ નાઇકે જણાવ્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને નેશનલ કમિટી ઓન ટ્રાન્સમિશન દ્વારા ભલામણ કર્યા પ્રમાણે રૂ.૨૨,૫૪૦ કરોડના રિન્યૂએબલ એનર્જી ઝોનના ટ્રાન્સમિશન પ્રોજેક્ટની મંજૂરી અને તેના સ્ટેટસ અંગે રાજ્યસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. તેના ઉત્તરમાં પ્રધાન નાઇકે જણાવ્યું હતું કે, નેશનલ કમિટી ઓન ટ્રાન્સમિશનની ૨૫ જૂન, ૨૦૨૪ના રોજ મળેલી ૨૦મી બેઠકમાં ભલામણ થયા પ્રમાણે ઊર્જા મંત્રાલયે રૂ.૨૨,૫૪૦ કરોડની ૯ ટ્રાન્સમિશન યોજનાઓને મંજૂરી આપી હતી, આ પૈકી ગુજરાતના રિન્યૂએબલ એનર્જી ઝોનને સંબંધિત ચાર યોજનાઓનો સમાવેશ થાય છે. આ ચાર યોજનાઓ માટેના સુધારેલા અંદાજો રૂ.૧૦,૨૨૫ કરોડના છે.
આ પણ વાંચો: 300 મેગા વૉટ હાઈબ્રિડ પ્રોજેક્ટ માટે ACME સોલાર હોલ્ડિંગને રૂ. 1988 કરોડની લોન
આ પ્રોજેક્ટ્સમાં ભૂજ વિસ્તારમાં ૧.૫ ગીગા વોટ રિન્યૂએબલ એનર્જીના સ્થળાંતર માટે ભૂજ-૨ પુલિંગ સ્ટેશનનું વિસ્તરણનો સમાવેશ થયો છે. પાવર ગ્રીડ ભૂજ ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા રૂ.૫૮૭ કરોડના ખર્ચે આ યોજનાનો અમલ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં થશે. આ જ રીતે ઓફશોર વિન્ડ ઝોન ફેઝ-૧ ટ્રાન્સમિશન યોજનામાં પાવર ગ્રીડ દ્વારા રૂ.૬૯૦૦ કરોડના ખર્ચ કરાશે. માર્ચ ૨૦૨૯ સુધીમાં આ લાઇન કાર્યરત થશે જેમાં મહુવા ઓનશોર પુલિંગ સ્ટેશન, મહુવાથી વટામણ ૪૦૦ કેવી લાઇન (૧૯૦ કિ.મી.) અને ગુજરાત ઓફ શોર સબ સ્ટેશન સ્થાપવાના કામનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર Green Energy ને પ્રોત્સાહિત કરશે, 100 ગીગાવોટની કેપેસિટી સ્થાપિત કરશે
કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ દ્વારા રૂ.૬૩૬ કરોડના ખર્ચે લાકડિયા સબ સ્ટેશનનું વિસ્તરણ થશે. જે જૂન ૨૦૨૭ સુધીમાં અમલી બનશે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ધઘાનેસડાથી ૩ ગીગાવોટર ઊર્જા સ્થળાંતર માટેની ટ્રાન્સમિશન યોજનામાં રધાનેસડા સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન સિસ્ટમ માટે સબ સ્ટેશન સ્થાપવા તેમજ રધાનેસડાથી બનાસકાંઠાની ૭૬૫ કેવી લાઇન (૯૫ કિ.મી.) નાખવાના કામનો સમાવેશ થાય છે.